સંયમના આગ્રહી પુરુષના જન્મદિને જ મારો સંયમ તુટી ગયો. દાંભિક ચર્ચાઓમાં ઉતરવું નહીં એવું કેટલાક સમય પહેલા નક્કી કરેલું, પણ આજે સંયમ તુટ્યો. ફેઈસબુક પર બે મિત્રોની પોસ્ટ વાંચી – સૌરભ શાહ અને રાઓલજી. આ રજુઆતોના પરિણામે મારી સહિષ્ણુતા ઓગળી ગઈ અને ઘણા સમયથી ચાલતી બ્લોગનિવૃતિ પણ તુટી ગઈ.
સૌરભભાઈ ગાંધીજીને યાદ કરતાં, ‘સત્યના પ્રયોગો’ને વાંચવાનો આગ્રહ કરે છે. જીવનની સફરમાં ‘કમ્પની’ મળશે એવું પણ લખે છે.
સૌરભભાઈના લખાણનો મહત્વનો ફકરો –
“ગાંધીજીનાં લખાણો (પ્રવચનો તથા પત્રો સહિત) કુલ સો મોટા ગ્રંથરૂપે ઉપલબ્ધ છે. ગુજરાતીમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તથા અંગ્રેજીમાં ‘ધ કમ્પલીટ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી.’ (ગુજરાતીમાં છેલ્લા ડઝનેક ગ્રંથો હજુય પ્રગટ થવાના બાકી છે). આ સો ગ્રંથો સાથે બે મોટા ગ્રંથ જેટલી નામસૂચિ, વિષયસૂચિ સામેલ છે જેથી તમને સંદર્ભ મેળવવામાં આસાની રહે. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આ શત ગ્રંથોમાંના માત્ર એક ગ્રંથનો હિસ્સો છે, પૂરેપૂરો ગ્રંથ પણ નહીં. તમે જોઈ શકો છો કે ગાંધી વિચારો એક અફાટ સાગર છે. કદાચ એટલે જ સામાન્ય વાચક કિનારા પરનાં થોડાંક છબછબિયાંથી આગળ વધતાં ડરતો હશે. આ સો ગ્રંથ ઉપરાંત પ્યારેલાલ અને તેંડુલકરે લખેલા અનુક્રમે ચાર અને આઠ દળદાર ગ્રંથો તેમ જ બીજાં ડઝનબંધ અલગ અલગ દૃષ્ટિકોણથી લખાયેલા અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તથા મરાઠી પુસ્તકો છે, જેમાંથી તમને ગાંધીજીના જીવનનાં અનેક પાસાંઓનો પરિચય થાય.”
રાઓલજી તો તેમના ‘બોલ્ડ’ લખાણો માટે બ્લોગર દુનિયામાં જાણીતા છે. તેમણે પોતાની એક જુની પોસ્ટની લિન્ક એફબી પર મુકી – ‘મહાન આત્મા, તંત્ર, બ્રહ્મચર્ય’
રાઓલજી પણ Joseph Lelyveld નામના એક પુલિત્ઝર પ્રાઇઝ વિનર પત્રકારે લખેલા પુસ્તક “Great Soul” MAHATMA GANDHI AND HIS STRUGGLE WITH INDIA … નો સંદર્ભ આપી લખે છે. (ગાંધીને વાંચવો કે ગાંધી પર લખેલા પુસ્તકને વાંચવું ?) ગાંધીએ પોતાના સ્ખલનો સ્પષ્ટપણે આત્મકથામાં લખી જ દીધા છે તો પછી તેના એ સ્ખલનો પર ટીકા ટીપણી શા માટે ? ગાંધીજીએ પોતે ‘મહાત્મા’ છે એવું ક્યારે કહ્યું છે ? મારી સામાન્ય જાણ મુજબ આત્મકથા સામાન્ય માણસની જ છે. પ્રત્યેક પોતેપોતાની શક્તિ, આવડત, જ્ઞાન મુજબ જીવનમાં સ્ટ્રગલ કરે જ છે. ગાંધીજી મજબુત હશે એથી જીવનના odds ની સામે વધારે મજબુતીથી ટક્કર ઝીલી છે. પણ એમના પ્રયત્નોના લેખાજોખાં કરનાર આપણે કોણ ? મારે મારા માટે કોઈએ કરેલા કાર્યની વાત કરવી જોઈએ કે જે તે વ્યક્તિના વ્યક્તિગત જીવનની વાત કરવી જોઈએ ? ગાંધીજીએ પોતાના આંદોલનોમાં કેટલા જણાને હાથ પકડીને ખેંચી જઈને સામેલ કરેલા ? પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્ર છે જેને ઇચ્છા થઈ તે તેની પાછળ ગયા, તમને યોગ્ય નથી લાગતું, તમે ના જાઓ, તમને યોગ્ય લાગે તે કરો. પણ આંદોલનકારના વ્યક્તિગતજીવન પ્રસંગોને લઈને ટીકા શા માટે ?
કોઈપણ લેખક જ્યારે લખાણ કરે ત્યારે તેના પોતાના વિચારો, પુર્વગ્રહો, માન્યતાઓ મુજબ ઢાળવામાં આવેલું લખાણ લખાય. વધુ સ્પષ્ટતા – “ગાંધીજીના સેક્રેટરી અને અંગત ડૉક્ટર યુવાન એવા સુશીલા નૈયર એમની સાથે એક બાથરૂમમાં સ્નાન કરતા તેનો વાંધો બીજા આશ્રમવાસીઓને આવતો. બીજી બહેનોને પણ આવો લહાવો લેવો હોય તેમને સુશીલા નૈયરની ઈર્ષ્યા આવતી.” આ લહાવો લેવો હતો કે નહીં એ અંગે આશ્રમની કોઈ બહેનોનો ઇન્ટર્વ્યુ ક્યાંય છપાયો છે ? ગાંધીજીએ લખી દીધું કે ભઈ ! મેં આવું કર્યું છે, પણ એ એમણે અજાણતા કરેલ ‘તાંત્રિક પ્રયોગ’ના ભાગરુપે હતું એ કેવી રીતે સાબિત થાય ? અને ભારતીય તંત્રને અંગ્રેજી પુસ્તકો વાંચી ક્યાંથી સમજી શકાય. (તાંત્રિક સમાજમાં સ્ત્રીને ‘શક્તિ’ પ્રાપ્ત કરવાનું સાધન માનવામાં આવતી. મૈથુનના પ્રયોગોમાં ‘સ્ખલન’ને સ્થાન હતું નહીં, જો કોઈ અઘોરી સ્ખલિત થાય તો તેને પ્રયોગોમાંથી દુર કરવામાં આવતો, આવું મેં વાંચેલું છે અને ફીઝીયોલોજીની રીતે સમજવા પણ પ્રયત્ન કર્યો છે પણ એ ચર્ચા અસ્થાને છે.)
સેક્સ શીલ્પોને યાદ કરતાં રાઓલજી લખે છે – “સેકસના શિલ્પ ખજુરાહોમાં કોણે બનાવ્યા હતા?”. માની લો કે આપણે એવો તર્ક કરીએ – આ શિલ્પો સેક્સથી ઉપર ઉઠીને આત્મામાં રમમાણ થવું એવો કોઈ સંદેશો આપતા જ નથી. આ શિલ્પો તો કારીગરોએ બનાવ્યા છે. પત્નીથી/સ્ત્રીથી વર્ષો સુધી દુર રહી શિલ્પકાર્ય કરનાર કારીગર, સેક્સના નેચરલ ફોર્સથી વંચીત કેમ રહી શકે ? આથી તેમણે કરેલી કલ્પનાઓને મુર્તિઓમાં કંડારી નહી હોય ? ખાજુરાહોના મુખ્ય ડિઝાઈનરનો કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ છે કે આ શિલ્પો કોઈ ચોક્કસ પ્રકારનો સંદેશો આપે છે ?
મુળ સવાલ એ છે કે જાહેરમાં ગાંધીજીએ કરેલા સારા કાર્યો કે તેમણે દેશ માટે આપેલા ભોગ યાદ કરવો જોઈએ કે તેમણે સાહજીક રીતે સ્વીકારેલા સ્ખલનોને યાદ કરવા જોઈએ. (બુધ્ધીજીવી કદાચ ગાંધીજીએ દેશ માટે ભોગ આપ્યો એમ કહેવાને બદલે એવું પણ કહે કે તેમણે, સર્વ કાર્ય પોતાની મહત્વકાંક્ષાઓ સિધ્ધ કરવા અને પોતાની માન્યતાઓ ઠોકી બેસાડવા કરેલું છે. )(હમણાં મોદીની અમેરીકા યાત્રા માટે એવું પણ વાંચ્યું કે મોદી જેવા તો અમેરીકામાં ઘણાય છે એમણે શું ઉકાળ્યું કે મોદી ઉકાળશે.)
સૌરભભાઈએ ગાંધીજીના શબ્દો ટાંકી સરસ લખ્યું –
“ગાંધીજી પોતાનાથી વિરુદ્ધ જેમનો મત હોય, જેમની સાથે પોતે સહમત ન થતા હોય એવા વિચારને હૃદયપૂર્વક આદર આપતા. બે વ્યક્તિઓ વચ્ચે ભિન્ન મત હોય એમાં કશું ખોટું નથી. એવું સ્વીકારીને એમણે એક વખત પોતાના સામયિક ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું હતું: ‘ભિન્ન મતને કારણે એકબીજાનો દ્વેષ કરવાની કોઈ જરૂર નથી. મારા કરતાં વિરુદ્ધ મતને સ્વીકારવાની સહિષ્ણુતા મારામાં ન હોત તો હું અને મારી પત્ની કે’ દહાડાનાં છૂટાં પડી ગયાં હોત!’…”
સૌરભભાઈએ પોતાના લેખમાં બહુ જ મહત્વની વાત પણ કરી –“આ લેખમાં ટાંકેલા ગાંધીવિષયક ગ્રંથો/પુસ્તકો વાંચ્યા વિના ગાંધીવિચારોની ટીકા તેમ જ પ્રશંસા ન કરાય એવું હું નમ્રપણે માનું છું, કમ સે કમ જાહેરમાં તો નહીં જ.”
મારી સહિષ્ણુતા પીગળી ગઈ આથી આ લખાણ લખાયું, ઇશ્વર મને સહિષ્ણુ બનવા બળ આપે એવી પ્રાર્થના……….