યે તેરા ઘર …..

નવા વર્ષની શુભેચ્છાઓ….

ધરતીનો છેડો ઘર તો વર્ષોથી સાંભળતા આવીએ છીએ, અને ખરેખર ક્યાંયથી પણ પાછા ઘેર પહોંચીએ ત્યારે ‘હાશ’ થાય છે એ પણ હકીકત છે. દરેકની મનસા પણ ‘પોતાનું’ ઘર બનાવવાની હોય છે. યુવાનોને સલાહ પણ છે કે ચાલીસી વટાવ્યા પહેલાં પોતાના ઘરની વ્યવસ્થા વિચારી લેવી.

પણ આજે House ની નહીં ‘Home’ ની વાત કરવી છે. આજે સ્વ. ફારુકશેખને અંજલી આપતાં ‘સાથ સાથ’ જોયું.

ફીલ્મની શરુઆત ખુબ ‘ટચી’ રહી. એક યુવાનની દુનીયા સાથે લડવાની, પોતાના વિચારો પર કાયમ રહેવાની ખુમારી જોઈ ખુ્બ આનંદ થયો. આજે વડીલો પણ યુવાનોને આ જ સલાહ આપતા હોય છે અને તે પણ એવું કહીને કે ‘અમે તો અમારું ધાર્યું ન કરી શક્યા, પણ તમે તો કરી શકો તેમ છો’

મને પણ આવી સલાહ આપવાનું મન થઈ જાય. (મફતમાં આપવાનું સૌને ગમે છે… મને પણ..) પણ મારા જીવનની ફ્લેશબેકમાં જતાં લાગે છે કે મેં પણ આવા જ સપના સેવ્યા હતા, પણ જ્યારે પ્રેકટીકલ થવની વાત આવે ત્યારે સપના, ‘સપનામાં’ જ રહી જાય, બાંધછોડ કરવી પડે છે એ પણ હકીકત છે. ન કરીએ ત્યારે ઘણું સહન પણ કરવાનું આવે છે, જે મેં નોકરી દરમ્યાન અનુભવ્યું પણ છે. વડીલો એમ પણ સલાહ આપે કે ‘જમાના સાથે ઉભા રહેવાની તાકાત કેળવવી જોઈએ, પોતાની જરુરીયાતો ઘટાડવી જોઈએ’ પણ કઈ જરુરીયાત ઘટાડવી એનું કોઈ માર્ગદર્શન કરે છે ? જરુરી એવા ફોન કોલ કરો તો પણ મહીનાના ૬૦૦-૭૦૦ રુપીયા મોબાઈલ બીલ આવે, દુનીયા સાથે જોડાયેલ રહેવા છાપા વાંચીએ તો મહીને ૧૦૦-૨૦૦ રુપીયાનું બીલ આવે, ઇન્ટરનેટ વાપરો ૬૦૦-૭૦૦ રુપીયા એના જોડો, નોકરી કરવા જવાના ટ્રાન્સપોર્ટેશનના ૧૫૦૦-૨૦૦૦ હજાર જોડો…. કઈ જરુરીયાત ઘટાડવી ? દુનીયા સાથે નાતો છોડવો ?

દાદા ભગવાનનો એક મુદ્દો યાદ આવે છે… ‘એડજસ્ટ એવરીવ્હેર’. આપણે તેનો અર્થ એ કરવાનો રહે કે ‘હું જ્યાં કામ કરૂં છું એ વાતાવરણને ‘એડજસ્ટ’ થવાનું’. દાદા ભગવાન પણ વેપાર કરતાં કરતાં પોતાનો ધર્મ નીભાવતા હતા. ધર્મ વિષે આજે એક સરસ વાક્ય સાંભળ્યું – ધર્મની વ્યાખ્યા સાર્વજનીક ન કરી શકાય, દરેકને પોતાનો ધર્મ હોય છે, હોવો જોઈએ.’

આપણે પણ આપણો ‘ધર્મ’ નક્કી કરી લેવો જોઈએ અને જ્યાં પણ ‘એડજસ્ટ’ થવાનું આવે ત્યાં આપણા નક્કી કરેલા ધર્મની મર્યાદામાં રહી ને એડજસ્ટ થવાનું રહે. આ મર્યાદા બહારનું કામ નકારવું જોઈએ. શક્ય છે સહન કરવાનું આવે પણ આપના મનને-આત્માને ધર્મ અનુસર્યાનો આનંદ તો પ્રાપ્ત થાય છે એ વાસ્તવિક છે અને જીવન જીવવાનું બળ મળે છે. ‘એડજસ્ટ’ થયાનો સમય પસાર થયા બાદ પણ ‘પોતાનું’ જીવન જીવ્યાનો આનંદ રહે છે.

વર્ષો પહેલાં શ્રી પી.જી. માવલંકરના સફળ ઉદ્યોગપતિ ભાઈના (નામ ભુલી ગયો છું… સોરી !) ભારતમાં ઉદ્યોગ સ્થાપનાના અનુભવોના અંગ્રેજી પુસ્તકના ગુજરાતીકરણના પ્રકાશનની જવાબદારી નિભાવી હતી ત્યારે તેમના અનુભવો ખરેખર પ્રેરણાદાયી લાગ્યા. પરદેશથી આવી તેમણે જ્યારે અમદાવાદમાં ઉદ્યોગ સ્થાપ્યો ત્યારે એમની પ્રોડક્ટના ભાવ ભારતના બજારભાવ કરતા ખુબ નીચા હતા, પણ તેમણે પોતાની પડતર કીંમત પર ચોક્કસ નફો (ફીક્સ્ડ પ્રોફીટ) લઈને પ્રોડક્ટ વેંચવાનું નક્કી કરેલું, ભલે બજાર ભાવ વધુ હોય અને એ પ્રમાણે વધારાનો નફો પણ મફતમાં મળતો હોય. તેમની પ્રોડક્ટ બજાર કરતા સસ્તી મળતી, લોકો શંકા પણ કરતા કે, કંઈ ક્વોલીટીમાં તો ઘાલમેલ નહી હોય ને ? પણ ધીમે ધીમે લોકોને વાસ્તવીકતા સમજાણી અને ધંધાનો ખુબ વિકાસ થયો. તેમણે પોતાનો ‘ફીક્સ્ડ પ્રોફીટ’ લેવાનો ધર્મ નીભાવ્યો અને સફળતા મેળવી. આમ જો આપણે આપણો ‘ધર્મ’, બાઊન્ડરીઓ નક્કી કરી જીવીએ તો જીવન જીવવાનો આનંદ અને સફળતા (ભલે વહેલામોડી..) જરુરથી મળે છે.

આ મફત સલાહમાં તથ્ય લાગે છે ?

યુવાનોને ફરી સલાહ – ચાલીશ વર્ષ સુધીમાં ‘Home’ બનાવજો, ‘House’ નહીં, અને વધારે અગત્યનું એ કે તેને જાળવી રાખજો, નહીંતર ‘સાથ સાથ’ની હીરોઈન જેમ તમારી ‘દીપ્તી નવલ’ ઘર છોડવા મજબુર ન બની જાય….

ખોડંગાતા સંબંધો –

હમણા એક મિત્ર સાથે મારે ત્યાં શરુ કરેલું કામ પુરુ કરવા માટે વાત થઈ અને જવાબ –

‘શું કરું જોશીભાઈ, કારીગરની માથાકુટ છે. દિવાળી વખતે લગન કરવા રજાઓ પાડતો હતો અને હવે છુટાછેડા લેવા માટે રજાઓ પાડે છે.’

બોલો ! હજુ તો નામ-સરનામાની જ જાણકારી મળી હશે, ઓળખવાનું તો બાકી હશે ત્યાં, બે મહીનામાં કેસ છુટાછેડા સુધી પહોંચી ગયો. આ સંબંધ કેવો ? કેવી રીતે બંધાયો ? મેં વધારે વિગતો મેળવી.

કારીગરે લગ્નની ઉંમર વટાવી દીધી હતી. શરુઆત રાજ્યની બહાર કામ કરતો એથી સંબંધ થતો ન હતો. નોકરી છોડી ગુજરાતમાં આવ્યો, પણ શહેરમાં ઘર ન હતું એથી ગોઠવાતુ ન હતું, એનું સેટીંગ કર્યું. એના જેવી જ ઉમર વટાવી ચુકેલ કન્યા મળી, પણ પિતા-ભાઈ ન હોવાને કારણે નોકરી કરી મા અને એક બહેનનું પુરુ કરતી કન્યા મળી. હવે વિચારો બેઉ પક્ષે કેટલા એડજસ્ટમેન્ટ કરવાના થાય ? યુવાનના અભણ માબાપ સાથે યુવતીએ ગોઠવાવાનું, બહેન અને મા તરફ્ની જવાબદારી મનમાં રહે તેથી તે તરફ પણ ખેંચાવાનું, નોકરી નહીં કરવાની એથી બહારના વાતાવરણનો સંપર્ક તુટી જાય. યુવકને પણ તેના માબાપની જવાબદારી, એથી એણે પણ તેમનું સાચવવાનું. આવા સમયે તો વડીલોની જવાબદારી વધી જાય. પણ વડીલોની દલીલ કેવી ? અમારે સમાજમાં રહેવાનું કે નહી ?

વડીલોની મોટામાંમોટી ગેરસમજ (Misconception) શું ? સમાજના નિયમો. પણ નિયમો અને કાયદા વચ્ચેનો ભેદ વડીલો ભુલી જાય છે. નિયમો એટલે વ્યક્તિએ કોઈક પરિસ્થિતિમાં શું કરવું હિતાવહ છે એનું સામાન્ય તારણ, માર્ગદર્શન છે, જ્યારે કાયદો એ પથ્થરની લકીરની જેમ – જે નિયમ છે તેનું ઉલ્લંઘન ન કરી શકાય, જો કરવામાં આવે તો શિક્ષા થાય, એવો જડ છે. નિયમ ફ્લેક્સીબલ છે. એમાં બાંધછોડ શક્ય છે અને જરુર જણાય ત્યાં કરવી પણ જોઈએ. સમાજના ‘નિયમો’ને વડીલોએ સમાજના ‘કાયદા’ બનાવી દીધા છે, અને તેથી જ પ્રશ્નો ઉભા થાય છે.

અમારા ઘરના વહુવારુ નોકરી કરે ? સમાજમાં અમારી ઇજ્જતનું શું ?

અરે ! પણ પહેલાના જમાનામાં સ્ત્રીઓ નોકરી ન કરતી કારણ કે ઘરની જવાબદારી અને કામમાંથી જ તેને સમય મળતો ન હતો અને આજે મળતી લક્ઝરી પણ ત્યારે ઉપલબ્ધ ન હતી. આથી ખર્ચ પણ ન હતો. આજે રસોઈ માટે સમય બચાવતા સાધનો મળે છે આથી સમય પણ બચે છે અને શક્તિ પણ. સામાન્ય લક્ઝરી મેળવવાનો ખર્ચ પણ વધ્યો છે તો આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓ નોકરી કરે તો ખોટું શું ?

ખોડંગાતા સંબંધોમાં મુખ્ય કારણ ‘ગેરસમજ’ (Misconception) છે.

(આ તો ત્વરીત પ્રતિભાવ છે. ખોડંગાતા સંબંધોની પિષ્ટપેષણ તો બાકી 🙂 )

પત્નીઓ દ્વારા એનકાઊન્ટર –

પત્નીઓ દ્વારા એનકાઊન્ટર –

સવારમાં છાપાનું પાનું ખુલે અને ‘લે ! પતિ અને સાસુ-સાસરાએ ભેગા થઈને વહુને સળગાવી દીધી !’ મોટેથી સમાચાર વંચાય અને સાથે સાથે ચાની ચુસ્કી લેવાય. દિલમાં ક્યાં દુઃખે છે ? સંવેદનાઓ જ સળગી ગઈ છે ને ! આ તો હમણા નજીકના સર્કલમાંથી આનાથી ઉલટા સમાચાર આવ્યા ‘વહુએ પતિ, સાસુ-સસરા સામે હેરેસમેન્ટની ફરીયાદ કરી કે વહુએ  ઘરના અન્ય સભ્યને મારવા લીધા’ પત્નીએ સાસરા પક્ષનું એનકાઉન્ટર કર્યું ત્યારે આ લખવાનું ‘ઉગ્યું’

એક આડવાત કહી નાખવાની લાલચ રોકી શકાય તેમ નથી. ઉપરનો પેરેગ્રાફ ઝીણી નજરે વાંચો તો બે શબ્દો ‘નજીકના સર્કલ’ નજરે પડશે. છાપાના સમાચાર ‘બહારનું સર્કલ’ છે એથી મનને અસર નથી કરતા પણ આ તો ‘નજીક’ ની વાત છે. માણસ કુદરતથી કેટલો વિરુધ્ધ જઈ રહ્યો છે તેનો પુરાવો આવા શબ્દો આપે છે. વિજ્ઞાનીઓ કહે છે કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે જ્યારે માણસ વિસ્તરવાને બદલે સંકોચાઈ રહ્યો છે. વ્યક્તિ ધીમે ધીમે પોતાનું સર્કલ ‘નાનુ’ કરતો જાય છે અને તેને ‘વિકાસ’ નામ આપે છે.

સ્ત્રી પરણીને, એરેન્જ મેરેજ દ્વારા કે લવમેરેજ દ્વારા, સાસરે આવે ત્યારે એની લાઈફસ્ટાઈલ કેટલી બદલાય એનો વિચાર જે તે સ્ત્રીએ કે પુરુષે ક્યારેય કર્યો છે ? સવારમાં ઉઠવાની ટેવથી માંડીને સાંજે સુવાના સમય અને સ્ટાઈલ સહીત બધું જ બદલાય જાય. પછી આવે ‘એડજસ્ટમેન્ટ’.કેટલાક પત્નીએ કરવાના, કેટલાક પતિએ કરવાના. જો આંકડાકીય સરખામણી કરો તો પત્નીએ કરવાના એડજસ્ટમેન્ટની સંખ્યા વધી જાય, કારણ….., સમાજનું નિયત બંધારણ, પતિનો અને કુંટુંબના વડીલોનો અહમ, સ્ત્રીની સહનશીલતા અને જતું કરવાની (ચાલ્યા કરે….) વૃત્તિ, કોઈક કિસ્સામાં સ્ત્રીની મજબુરી.

હવે સવાલ આવ્યો આપણી મૂળ વાતનો – પત્નીએ ફરીયાદ દાખલ કરી. પત્નીએ ‘એનકાઊન્ટર’નો પ્રયત્ન શા માટે કર્યો ?

પત્ની ઉપર જણાવેલા એડજસ્ટમેન્ટ ન કરી શકી એટલે ?

કે પતિનું કુટુંબ એડજસ્ટમેન્ટ ન કરી શક્યું કે ન સ્વીકારી શક્યું એટલે ?

(આ ચર્ચામાં આપણે Social મુદ્દાઓ – દહેજ, વાંકડો, વગેરે તેમજ Biological મુદ્દાઓને બાકાત રાખશું, Psycological મુદ્દાઓમાં પણ અગાઉના મુદ્દાઓને કારણે મન પર નિપજતી અસરોને સ્પર્શ નહી કરીએ. એ બધી ચર્ચા કરીએ તો ‘પોસ્ટ’ નહીં પણ ‘પુસ્તક’ બને.)

એક તર્ક એવો લગાવી શકાય કે સંબંધની શરુઆતમાં જ ક્યાંક ક્ષતિ હોય છે. પતિ-પત્નીના સંબંધની શરુઆત એરેન્જ હોય, લવમેરેજ હોય કે પશ્ચિમી ડેટીંગ હોય, પણ બન્ને પાત્રો પોતે ‘જે નથી’ તે સ્વરુપે ‘બેસ્ટ રીપ્રેઝન્ટેબલ ફોર્મ’ માં આમને-સામને ઉપસ્થિત થાય છે. એના કારણે જો સંબંધ બંધાય તો તેની સાથે કેટલીક અપેક્ષાઓ પણ બંધાય. પણ સંબંધ બંધાયા પછી જ્યારે વાસ્તવિકતા સ્પષ્ટ થાય ત્યારે લીમીટમાં કેટલીક બાંધછોડ પણ થાય, પણ જો બાંધછોડ લીમીટ બહારની હોય તો ‘સારાપણા’ નો પરપોટો ફુટી જાય, જેમ હવા ભરેલા ફુગામાં એક નાનુ છિદ્ર પડે તો તેમાંથી ધીમે ધીમે હવા નીકળી જાય છે. પછી ધીમે મનદુઃખ વધે અને એકવાર મતભેદનો જન્મ થાય પછી નાની વાતો પણ પોતાના વિરુધ્ધની જ લાગવા માંડે. આના ઉપાયમાં મતભેદને ઉગતો જ ડામવો પડે. તો જ વિશ્વાસનું વાતાવરણ સ્થપાય અને પરિસ્થિતિ વણસે નહી. બીજા ઉપાયમાં બન્ને પાર્ટી જે ‘એડજસ્ટમેન્ટ’ કરે છે તેની જાણકારી સ્પષ્ટ કરી લે એ જરુરી છે. જેમકે પત્નીને પિયરમાં મોડા ઉઠવાની ટેવ હતી પણ સાસરે વહેલાં ઉઠવાનું છે તો તે તેનું ‘એડજસ્ટમેન્ટ’ છે, અને આ વાત બધાના મનમાં સ્પષ્ટ હોય તો, કોઈ દિવસ પત્ની મોડી ઉઠે તો પહાડ ન તૂટી પડવો જોઈએ. પત્ની પક્ષે પણ માફીના સ્વરમાં ‘અર..ર..ર, આજે તો બહુ મોડુ થઈ ગયુ’ એવું બોલાય તો, શક્ય છે વહાલનો વરસાદ પણ વરસી જાય.

આ તર્ક સાથે પુર્ણપણે સંમત થવાય તેમ લાગતું નથી, કારણ કે લગ્ન પછીના કેટલાક વર્ષો બાદ જ્યારે પતિ-પત્ની વચ્ચે કે કુટુંબમાં તિરાડ પડે ત્યારે સવાલ ઉઠે કે આટલા વર્ષોના ‘એડજસ્ટમેન્ટ’ પછી હવે આ તિરાડ ક્યાંથી ? આમાં તો માનવ મનની વિચિત્રતા જ કારણભૂત બનતી હશે. વિજ્ઞાને એવું તો સિધ્ધ કરેલ છે કે આપણું વર્તન અને વિચાર એ બન્ને એકબીજા પર અસર કરે છે. જેવા તમારા વિચાર તેવું તમારું આચરણ. વિચારો પર પરિસ્થિતિની અસર પડે છે. જો પરિસ્થિતિને સમજીએ તો વિચાર સમજાય, જો વિચાર સમજાય તો વર્તનમાં સમજણપૂર્વક ફેરફાર કરી શકાય. (આમ તો આ બે-ત્રણ લીટીનું લખાણ થયું પણ વિચારવાનું કામ મોટું છે, વિચારશો તો કદાચ ‘આદર્શ’ નહી લાગે પણ ‘વાસ્તવિક’ લાગશે. બાકી તો હરિ ઈચ્છા…. નહીં, … તમારી ઇચ્છા !)

પતિ-પત્ની નજીક આવો – ૫

પતિ-પત્ની નજીક આવો – ૫

જોહરી વિન્ડોનો ઉપયોગ કેમ કરવો તેનો એક નાનકડો ટેસ્ટ કરી જોઈએ.

નીચે વ્યક્તિના ગુણ દર્શાવતા દશ શબ્દો લખ્યા છે, એમાંથી, તમારુ સ્વ-નિરીક્ષણ કરી જે તમને લાગુ પડૅ છે તેની સામે ‘હા’ અને તમને લાગુ ન પડતા હોય તેની સામે ‘ના’ લખો

લાગણીશીલ

આશાવાદી

ત્વરીત નિર્ણય લેનાર

ઇર્ષાળુ

પરીશ્રમી

સ્વાર્થી

વિનમ્ર

સમયપાલનનો આગ્રહી

વાચાળ

મદદરુપ થનાર

હવે આ જ શબ્દો એક અલગ કાગળ પર લખી, તમારા મિત્ર/પતિ/પત્ની ને આપો. તેને જણાવો કે તે તમારા માટે શું ધારે છે. એનૅ પણ ‘હા’ કે ‘ના’ લખવા જણાવો. જેમકે પહેલો શબ્દ ‘લાગણીશીલ’. હવે તમારા પાર્ટનર લાગતું હોય કે તમે લાગણીશીલ છો, તો તેણે આ શબ્દ સામે ‘હા’ લખવું, જો એમ ન લાગતું હોય તો ‘ના’ લખવું. એવી રીતે દરેક શબ્દની સામે તેનૅ તમારા વિશેનો અભિપ્રાય આપવાનો છે. આમ એક કાગળમાં તમારે પોતાના વિશે અભિપ્રાય આપવાનો છે અને બીજા કાગળ પર તમારા પાર્ટનરે તમારા વિશે અભિપ્રાય આપવાનો છે. અભિપ્રાય આપવાની બાબતમાં બન્નેઍ તટસ્થ રહેવાનું છે. પોતાની જાતને કે અન્યને સારુ લગાડવાનો પ્રયત્ન કરવાનો નથી. હવે બન્નેના જવાબો સરખાવો. કોઈકની સામે બન્નેઍ ‘હા’ લખી હશે, કોઈક જગ્યાએ, એકે ‘હા’ અને બીજાએ ‘ના’ લખી હશે, અને કોઈક જગ્યાએ બન્નેઍ ‘ના’ લખી હશે.

આમાં તમે તારણ શું કાઢશો ?

  • જ્યાં બન્નેઍ ‘હા’ લખી છે તે તમારો ‘Open’ એરીયા છે.
  • જ્યાં બન્નેઍ ‘ના’ લખી છે તે તમારો ‘Open’ એરીયા છે અથવા ‘Unknown’ એરીયા છે.
  • જ્યાં એકે ‘હા’ અને બીજાઍ ‘ના’ લખી છે તે તમારો ક્યાં તો ‘Blind’ અથવા ‘Closed’ એરીયા છે.

જ્યાં Open છે ત્યાં બધું બરાબર છે. સંબંધો સરળ છે. જ્યાં Blind છે ત્યાં તમારે યોગ્ય ફીડબેક લઈ તમારામાં સુધારો લાવવાનો છે, જ્યાં closed એરીયા છે ત્યાં તમારે નિર્ણય લેવાનો છે કે કોની સામે કેટલા અને ક્યારે ખુલ્લા પડવું અને સંબંધો જાળવવા. આમ Self discloser  અને  Feedback  દ્વારા  તમે તમારા સંબંધો વધારે મજ્બુત અને સરળ બનાવી શકો.

(મિત્રો, ઉપરોક્ત લખાણ, શક્ય તેટલું સરળ અને સમજુતિભર્યું લખવાનો પ્રયત્ન કરેલ છે. છતાં કોઈ અસ્પષ્ટતા માટે કોમેન્ટસ તેમજ મેઈલ કોન્ટેક્ટસ આવકાર્ય છે.)

૧ જુન પછી ફરી મળીએ. ત્યાંસુધી આવજો !

પતિ-પત્ની નજીક આવો – ૪

પતિ-પત્ની નજીક આવો – ૪

(ગઈકાલે કોમ્પુટરની કૃપાથી (?) કોઈ પોસ્ટ ન લખી શકાઈ. So…r..r.y)

આપણે વાત કરવાની હતી ‘જોહરી વિન્ડો’ નો આપણા સંબંધોમાં ઉપયોગ કેમ કરવો તેની. જોહરી વિન્ડોનો બધો ખેલ  Self Discloser અને Feedback પર આધારીત છે. તમે તમારી જાતને અન્યની સામે ખુલ્લી કરો (‘પારદર્શિતા શું છે’ – વાંચો) અને તેના બદલમાં સામેવાળાનું ( કે પત્નીનું) મંતવ્ય જાણો. (Feedback નો ગુજરાતી પર્યાય ધ્યાનમાં આવે તો જણાવશો)

જોહરી વિન્ડોનું ડાબી બાજુનું ઉપરનું ખાનું ધ્યાનમાં લઈએ તો પતિની કેટલીક બાબતો પતિ-પત્ની બન્ને જાણે છે અને તેના લીધે જીવન વ્યવહાર સરળાતાથી ચાલે છે. બન્ને માટે આવી જાણીતી બાબતોમાં  સંબંધો smooth છે. આના પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે પતિનો open area વધારે હોય તો સંબંધ વધારે smooth રહે છે. પત્નીને પણ આ જ બાબત લાગુ પડે. પ્રત્યેક વ્યક્તિને પોતાની અંગત જોહરી વિન્ડો હોય, એટલે સંબંધો સુધારવા દરેક વ્યક્તિએ પોતાની જોહરી વિન્ડો સુધારવી પડે. હવે જો મારે મારી જોહરી વિન્ડોનો ઑપન એરીયા વધારવો હોય તો બે દિશામાં પ્રયત્ન કરી શકાય –

Blind એરીયા ઘટાડીને અને

Closed  એરીયા ઘટાડીને

Image

Blind એરીયા ઘટાડવા માટે નો માર્ગ – જેની ખબર નથી તે  સંકોચ  વગર  અન્યને  પુછવું,  અહી ‘હું કોણ’ મનમાં ન રાખવું, તેમજ  અન્યને આપણા વિશે ‘મંતવ્ય’ (Feedback) આપવા માટે  પ્રેરવા. આ બન્ને ક્રિયા આપણા blind ને ઘટાડે છે.

Closed એરીયા ઘટાડાવા માટે જાતને અન્ય સામે ખુલ્લી (Self Discloser) પાડવી. જેમ Blind એરીયા ઘટાડવામાં આપણો ‘અહંમ’ (હું કોણ) નડે, તેમ અહીં ‘જો જાતને ખુલ્લી પાડીશ તો કોઈ લાભ લઈ જશે’ એવી આશંકા નડતરરુપ થાય છે. પણ મિત્રો ! આપણા મનમાં સ્વાભિમાન (અહંકારનું યોગ્ય પ્રમાણ) અને Self Discloser નું કોઈક પ્રમાણ નિશ્ચિત થયેલું હોય છે. આપણે તેને યોગ્ય રીતે નક્કી કરવાનું છે અને જે ‘પરિસ્થિતિ’ આધારીત છે. અંતે આપણે સામેવાળી ‘વ્યક્તિ’ અને ‘પરિસ્થિતિ’ ને આધારિત જોહરી વિન્ડોની ડીઝાઈન બનાવવી પડે. કઈ પરિસ્થિતિમાં કેટલું અને કોની સામે ખુલ્લા પડવું એ આપણે નક્કી કરવાનું છે.

દુનિયામાં પ્રત્યેક વ્યક્તિ અલગ છે, પરિસ્થિતિ અલગ અલગ હોય એટલે કોઈ ઉદાહરણ આપવા એ વ્યર્થ છે. જેમ કે એક ઉદાહરણ લઈએ (‘હેવી’ ઉદાહરણ જ લઈએ, એટલે પરચુરણ આપોઆપ સમજાય) – પતિએ પત્નીને કોલેજકાળની ગર્લફ્રેન્ડની વાત કે પત્નીએ કોલેજકાળના બોયફ્રેન્ડની વાત અરસપરસ કરી self dicloser અપનાવવું કે કેમ ? અહીં પતિ કે પત્નીનો સ્વભાવ, ઉમર, ઘરનો માહોલ, બન્ને વચ્ચેના રેગ્યુલર સંબંધો, આ discloser ની જરુર, એવી ઘણી બાબતોને ધ્યાનમાં લેવી પડે. ફક્ત જોહરી વિન્ડોની જાણકારી મેળવી મેદાનમા કુદી ન પડાય. પણ તેની સમજણ હોય, concept તરીકે જાણતા હોઈએ તો ધીમે ધીમે અનુભવે, સંબંધો સુધારવામાં કામ લાગે. પણ એટલું તો સાચું જ છે કે ‘Open’ એરીયા જેટલો વધુ એટલા સંબંધો વધુ સારા.

આ દિશામાં પગલા ભરવા હોય તો કેવી રીતે આગળ વધવું એ હવે પછી …

પતિ-પત્ની નજીક આવો – ૩

પતિ-પત્ની નજીક આવો – ૩

મનની બારીની કલ્પના કદાચ વિચિત્ર લાગે, પણ આપણું શરીર જેમ આંખો દ્વારા ભૌતિક દુનિયા સાથે જોડાયેલું છે તેમ મનને પણ અન્યના મન સાથે જોડવા ‘કંઈક’ જોઈએ, અને આ ‘કંઈક’ એ આપણી ‘મનની બારી’ છે એમ કલ્પના કરી લો. અહીં તમે અને અન્ય (સામેની વ્યક્તિ), જેમકે ‘હું’ અને ‘તમે’, બન્ને એકબીજાની સામસામે અલગ અલગ રુમમાં (અલગ અલગ મન સાથે) છીએ. બન્નેને એકબીજા વિશે જાણવું હોય તો રુમની દિવાલમાં ખુલ્લી જગ્યા – ‘બારી’ જોઈએ, જેમ તમને કુદરતનો નજારો જોવા બેડરુમની બારીની જરુર છે  બસ એજ રીતે. તો બે વ્યક્તિને એકબીજા વિશે જાણવું હોય તો બન્નેના મનમાં પણ ખુલ્લી જગ્યા – ‘બારી’ જોઈએ. જોહરી વિન્ડો આવી જ બારીની સમજૂતિ આપે છે.

હવે આ વિન્ડો આજના જમાનાની સ્લાઈડીંગ ડોરવાળી નથી, પણ જુની ડિઝાઈનની ચાર સ્ક્વેરવાળી છે. (જુઓ ચિત્ર). વિન્ડોને સમજવા તમારે ગણિતને પણ યાદ કરવું પડશે. નાનપણમાં આપણે ગ્રાફ દોરતા ત્યારે ‘x’ અને ‘y’, axis દોરી બન્ને axis પર જુદા જુદા પરિબળો મૂકતા, અહીં આપણે ‘હું’ અને ‘અન્ય’, કે પતિ-પત્નીની જ વાત કરવી હોય તો ‘પતિ’ અને ‘પત્ની’ ને મૂકી શકાય.

 

ચિત્રમાં આપણે ‘x’ ના સ્થાને ‘પતિ’ અને ‘y’ ના સ્થાને ‘પત્ની’ મૂકીએ. (ચિત્રમાં ટેક્સ્ટ લખવાનું ગુજરાતીમાં ન ફાવ્યું, આથી અંગ્રેજીમાં લખેલ છે). હવે આપણે ‘ઓપન’ ના ચોકઠાને ધ્યાનમાં લઈએ તો કેટલીક બાબતો પતિ જાણે છે અને એ જ બાબતો પત્ની પણ જાણે છે. દા.ત. પતિને કારેલાનું શાક ભાવતું નથી, એ બાબત બન્ને જાણે (open) છે, ઘરમાં કારેલા બનતા જ નથી અને જમતી વખતે વાસણ ખખડતા નથી. આજે પતિને ઓફીસમાં ખૂબ કામ હોય છે, લંચટાઈમ મળ્યો નથી, સાંજે પતિ મહાશય માથું દુઃખવાની ફરીયાદ સાથે ઘરે આવે છે. પત્ની સાંજની ચા સાથે નાસ્તો પણ હાજર કરી દે છે, કારણ કે પતિનું ઓફીસમાંથી પરત આવેલું લંચ બોક્સ ભરેલું જોતા તેને તરત જ ખ્યાલ આવે છે કે માથુ ભુખના લીધે દુઃખે છે, પતિ મહાશયને એ જાણ નથી (blind) કે માથુ શેના લીધે દુઃખે છે. સાંજે પતિ ઓફીસેથી આવી, પત્નીને બેગ આપતાં કહે ‘આમાંથી ફાઈલો જરા કબાટમાં મૂકી દે ને’ પત્ની બેગ ખોલે અને ફાઈલોના બદલે પત્ની માટેનું સુંદર ગીફ્ટપેક હોય, જે બાબત પતિ જાણે છે, પણ પત્ની અજાણ (closed) છે. કેટલીક બાબત એવી પણ હોય કે જેનાથી બન્ને અજાણ (unknown) હોય છે.

સરળતા ખાતર આપણે ભૌતિક બાબતોને ધ્યાનમાં લઈને જોહરી વિન્ડો સમજવાનો પ્રયાસ કર્યો, પણ ખરેખર તો આ વિન્ડોને આપણી લાગણીઓ, સ્વભાવ, હેતુ, વર્તણુંક વગેરેના સંદર્ભને ધ્યાનમાં લઈએ તો સામેવાળી વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરી શકીએ, આપણા સંબંધો સરળ બનાવી શકીએ. જીવન મધુરુ બને. આવો ! આપણે એ રીતે પણ સમજવા પ્રયત્ન કરીએ.

નવપરિણીત દંપતિનું ઉદાહરણ લઈએ.

પતિ શેર બજારનું કામકાજ કરે છે. સવારમાં ઉઠીને સૌ પ્રથમ પેપરમાં શેરબજારના ભાવ જાણવાની તેમને ટેવ, ચા-પાણી પણ પછી. જો સવારમાં તેમને પેપર હાથમાં ન આવે તો તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય. આ બાબતની જાણ તેમના કુટુંબીજનો પણ જાણે, રોજ છાપુ સવારમાં તેમના તકીયે મુકાય જાય અને કોઈનીય સવાર ન બગડે. આ open એરીયાની વાત થઈ.

આ ભાઈ ઘોડે ચડ્યા, શરુઆતના દિવસોમાં તો શેર બજાર સુકાઈ ગયું હતું, પણ થોડા દિવસ પછીની વાત છે. પત્ની સવારમાં વહેલી ઉઠી મસ્ત ચા બનાવી, પતિ મહાશયને ઉઠાડવા ચાની ટ્રે સાથે પહોંચી અને સાંભળ્યુ –

“શું સવાર સવારમાં તમારા થોબડા જોવાના છે, છાપું ક્યાં છે, છાપું લાવો ને.”

જો કે વાક્યોના તીર છુટ્યા પછી પતિ મહાશય સમજી ગયા કે કાચુ કપાણું. પત્ની ઘરમાં નવી છે, હજુ સુધી તો પ્રેમની જ વાતો થઈ છે, બીચારીને શેર બજાર અને છાપાના સંયોગની જાણ ક્યાંથી હોય, પતિના ગુસ્સાની લાગણી કે બરાડા પાડવાની વર્તણૂકની જાણ ક્યાંથી હોય. પત્ની માટે તો એ વિસ્તાર ‘close’ છે. પછી તો રીસામણા-મનામણા ચાલ્યા, સમાધાન થયું અને પત્નીને પણ જાણ થઈ કે ભાઈને સવારમાં મારા સુંદર ચહેરા કરતાં કેરોસીનની વાસવાળા છાપામાં વધારે રસ છે. હવે, બન્ને માટે સવાર, છાપું, ગુસ્સો, વર્તણૂક, ‘open’ થઈ ગયું અને બીજા દિવસે ટ્રે માં ચા સાથે છાપું પણ મૂકાયું અને સવાર સુધરી.

થોડો સમય વધારે પસાર થયો, પત્ની પતિના સ્વભાવથી થોડી વધુ પરિચિત થઈ અને એક રહસ્ય શોધી કાઢ્યું કે પતિ મહાશય ‘ફુલણશી’ છે. એક સાંજે એક દાવ ખેલાયો. પતિ મહાશય ઓફીસે પરત ફરતાં, સાંજે ચા-નાસ્તા સાથે સ્વાગત થયું. અને –

‘આજે તો મીના (પત્નીની બહેનપણી) આવી હતી. કહેતી હતી કે તું તો બહુ સુખી થઈ ગઈ, તારો વર તો તને હથેળીમાં રાખે છે. ….’

અને પતિ મહાશય ફુલાઈને હવામાં ઉડવા લાગ્યા, ધીમેથી પ્રસ્તાવ આવ્યો –

‘ તમે થાકી ગયા ન હો તો પીક્ચરમાં જઈએ’

‘અરે હોય ! ચાલ ચાલ તૈયાર થઈ જા, નીકળીએ’

ફુલણશી અવસ્થામાં ઓફીસનો થાક, આખર તારીખની કડકી બધું જ ભૂલાઈ ગયું અને પત્નીએ પતિના ‘blind’ નો લાભ લઈ લીધો.

તાજા તાજા લગ્ન અને પીક્ચરની પ્રપોઝલ એટલે તૈયાર પણ વ્યવસ્થિત થવું પડે, બન્નેને ગમતી સાડી જ પહેરવી પડે, પણ વારંવાર પહેરવાથી થોડી ચોળાયેલી પણ છે. હવે શું કરવું ? સાડી પ્રેસ કરવા ધોબી પાસે જઈ શકાય એટલો તો સમય પણ નથી. લગ્નની ભેટ-સોગાદોમાં ઈસ્ત્રી પણ મળેલ છે પણ ઉપયોગ કરતાં કોઈને આવડતું નથી. પણ અત્યારે સમય ઓછો છે, પતિને વિચાર આવ્યો કે લાવને સાડી પ્રેસ કરવાનો પ્રયત્ન કરી જોઊં. પ્રયત્ન થયો અને સાડી સરસ રીતે પ્રેસ થઈ. પીક્ચરનો પ્રોજેક્ટ સફળ થયો. અહીં સાડી પ્રેસ કરવાની પ્રક્રિયાથી પતિ અને પત્ની બન્ને અજાણ હતા. સમયની અરજન્સીનું ‘એક્સીડન્ટ’ થયું અને ‘unknown’ એરીયા ઉજાગર થયો.

આમ, આપણા મનની લાગણી, હેતુ, વર્તણૂક વગેરે અંગેની જાણકારીના સંદર્ભમાં જોહરી વિન્ડોના ચાર વિસ્તાર –

  1. Open – સામસામેની બન્ને વ્યક્તિને એકબીજાની મનની લાગણી, હેતુ, વર્તણૂક વગેરે અંગેની જાણકારી છે.
  2. Close – એક વ્યક્તિ પોતે પોતાના મનની લાગણી, હેતુ, વર્તણૂક વગેરે અંગેની જાણકારી ધરાવે છે પણ સામેવાળી વ્યક્તિ જાણતી નથી
  3. Blind – એક વ્યક્તિ પોતે પોતાના મનની લાગણી, હેતુ, વર્તણૂક વગેરે અંગેની જાણકારી ધરાવતી નથી પણ સામેવાળી વ્યક્તિ જાણે છે.
  4. Unknown – બન્ને વ્યક્તિ આમાંનું કશું જાણતી નથી.

મનની બારીની જાણકારી તો મેળવી પણ એનો ઉપયોગ કેમ કરવો ?

આગળ ઉપર જોઈએ …..

(Johari Window is named after the first names of its inventors, Joseph Luft and Harry Ingham. It is a communication window for giving and receiving information. It is one of the most useful models describing the process of human interaction.)

પતિ-પત્ની નજીક આવો – ૨

પતિ-પત્ની નજીક આવો – ૨

વસંત ઋતુની વહેલી સવારે તમારી ઊંઘ ઉડી જાય, પંખીઓનો મીઠો કલરવ સંભાળાતો હોય, અધખુલ્લી બારીમાંથી વસંત વાયરાઓની લહેરખીઓ આલ્હાદકતાની અનુભૂતિ કરાવે અને તમે પણ આ પ્રવાહમાં તણાયને આનંદની લાગણી અનુભવો છો. (આ વસંતની વાતને તો કવિઓ માટે રાખી મૂકો, પણ તમારા આનંદને યાદ રાખો)

જીંદગીની કેટલીક ક્ષણોએ, વસંત વગર પણ, તમે આવી જ જીવન વસંતનો અનુભવ કર્યો જ હશે. પણ આવો અનુભવ વસંતના વાયરાની લહેરખીઓ સમાન હશે. સામાન્ય અનુભવ તો, વિવિધ ટેન્સન, મજબૂરી અને દુઃખની લાગણીઓને ઉભરાવે એવા થતા હશે. પણ ક્યારેક રણમાં મીઠી વીરડી સમાન પ્રસંગોએ મન પ્રફુલ્લિત કર્યું હશે.

ક્યારેક તંગ અને કંટાળાભરેલ આપણી માનસિક સ્થિતિ દરમ્યાન, અન્ય લોકોની પ્રફુલ્લિતતા જોઈ, આપણને ઇર્ષા થાય છે કે બીજા લોકો કેટલા સુખી છે, મારા જીવનમાં તો બસ મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ છે, મારા નસીબમાં સુખનો છાંટોય નથી.

પણ મિત્રો ! ‘મારા નસીબમાં સુખ નથી’ એ વાક્યની યથાર્થતા ચકાસવાનો પ્રયત્ન ક્યારેય કર્યો છે ? સુખ, આનંદ, પ્રફુલ્લિતતા પામવાને આડે આવતા અવરોધો અંગે ક્યારેય વિચાર્યું છે ?

કે પછી ….

ઝખમ દેનારાઓની યાદીમાં પ્રથમ પાને જ અંગત નામો જોઈને ડાયરી બંધ કરી દેનારા શાયરની જેમ સુખ મેળવવાના અવરોધોમાં પહેલું જ નામ તમારુ જોઈને આગળ જોવાનો પ્રયત્ન જ છોડી દીધો ? પ્રાથમિક પ્રયત્નમાં તો તમને તમારું નામ અવરોધરુપે નહી દેખાય, પણ સચ્ચાઈપૂર્વક પ્રયત્ન કરશો તો કદાચ એ સ્પષ્ટ દેખાશે, જેમ અન્ય તરફ એક આંગળી ચીંધતી વખતે ત્રણ આંગળીઓ તમારા તરફ જ હોય છે.

પણ આપણે વાત કરતા હતા બેડરુમની અધખુલ્લી બારીની. જેમ આ અધખુલ્લી બારી વસંતની આલ્હાદકતાને સંપૂર્ણપણે માણવામાં અવરોધરુપ થાય છે, તેમ જીવન વસંતને માણવા આપણા ‘મનની બારી’ અવરોધરુપ થાય છે.

આ મનની બારી કેવી હશે ?

આવો, આપણે એને જાણવા અને ખોલવાનો પ્રયત્ન કરીએ.

“જોહરી વિન્ડો” (Johari Window) તરીકે ઓળખાતી આ માનસિક બારી આપણી, ‘સ્વ’ (પોતાના) વિશેની આપણી જાણાકારી અને અન્ય લોકોની આપણા વિશેની જાણકારીના આધારે રચાયેલ છે. (આ તબક્કે માનસશાસ્ત્રના જાણકારોને એટલું જણાવી દઊં કે આ ચર્ચા સામાન્યજન માટેની છે એથી જોહરી વિન્ડોની સમજુતીમાં છુટ્છાટ લીધેલી લાગશે. પણ જેઓને શાસ્ત્રીય જાણકારીનો આગ્રહ હોય તેમને માટે ગુગલ સર્ચ હાજર જ છે.)

બીજી પણ એક સ્પષ્ટતા જરુરી છે. જેઓ ઇન્ટરનેટ પર ફેઈસબુક જેવા સંબંધોમાં રસ ધરાવે છે તેમને માટે સંબંધોની આ શ્રેણી ઉપયોગી નથી.

કાલે થોડો વધારે સમય સ્પેર કરજો, કારણ કે ‘જોહરી વિન્ડો’ સંળંગ સમજવામાં મજા આવશે.

મળીએ કાલે …

પતિ-પત્ની નજીક આવો – ૧

પતિ-પત્ની નજીક આવો – ૧

વિવિધ સંબંધોમાં અગત્યનો અને અન્ય સંબંધોને સીધો કે આડકતરી રીતે અસરકર્તા આ સંબંધની વાત કંઈક નિરાલી જ છે.

અને તમે પણ લખાણનું ટાઈટલ વાંચી જે કુતુહલથી ક્લીક કર્યું હશે એ સ્વીકારીએ તો આ સંબંધની અગત્યતા અને આંટીઘુંટી એ ક્લીકમાં જ પ્રતિબિંબિત થાય છે.

પરીણિત મિત્રોને પહેલો સવાલ તો ઉઠ્યો જ હશે કે શું અમે નજીક નથી ? કામકાજના સમય સિવાયનો સોનેરી સમય સાથે જ વિતાવીએ  છીએ.      (….કે એક્બીજાને સહન કરીએ છીએ ?) આ સહન કરવાની વાતમાં કંઇ કરી શકાય કે કેમ ?

જો આપણે પતિ-પત્નીને ‘નજીક’ જ જોતાં હોઈએ તો લગ્નજીવનમાં પ્રવર્તતા લડાઈ-ઝગડા, અસંતોષ, અંજંપો ક્યાંથી હોય ? પણ આ નજીકતામાં ક્યાંક કંઈક ખૂટે છે. નજરે દેખાતી ‘નિકટતા’ એ ભૌતિક છે, આપણી વાત ‘માનસિક નિકટતા’ની છે, મનમેળની છે. પત્નીને અમુક રંગની સાડી કે ડ્રેસ પસંદ નથી જ્યારે પતિ તેને એવા જ રંગની સાડી ભેટ આપે અને પાછી એવી અપેક્ષા રાખે કે પત્ની પોતાની ભેટની કદર કરે. પત્નીને ઘરકામમાં કોઇ ટોકે એ ગમતુ નથી, પતિ પોતાનો અહમ સંતોષવા કે જ્ઞાનનું પ્રદર્શન કરવા ઘરકામમાં માથુ મારે. પત્ની ઇચ્છે કે પતિ વ્યવસાયમાંથી પરવારી સાંજનો સમય ઘરમાં વિતાવે, જ્યારે પતિને, પત્ની કે ઘર કરતાં મિત્રોમાં વધુ રસ હોય.

સામે પક્ષે પણ પરસ્થિતિ સરખી જ છે. પતિને હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ નથી પણ રજાના દિવસે રસોડામાં પણ રજા જ પડી હોય. વ્યવસાયમાંથી થાકેલો પતિ ઘરમાં પગ મૂકે ને ઘરપારાયણ શરુ થઈ જાય. બહેનપણીનો પતિ અમુક પ્રકારના કપડા પહેરે એટલે પોતાના પતિને પણ એવા જ કપડા પહેરવા જોઈએ એવો દુરાગ્રહ સેવાય.

તમને બહુ સામાન્ય દેખાતા, આવા અસંખ્ય દાખલાઓ ગણાવી શકાય પણ આવા જ ‘એડજસ્ટમેન્ટ’ ધીમે ધીમે ‘મનમેળ’ ઘટાડે અને લગ્નજીવનનું ‘રગશીયું’ ગાડું આગળને આગળ ખેંચાતું ચાલે. આમ ભૌતિક રીતે નજીક દેખાતા પતિ-પત્ની માનસિક રીતે જોજનો દૂર ઉભા હોય.

તમે પણ થોડી જાત તપાસ કરી જુઓ ને !

હૈંયા પર હાથ મુકી જાતને પુ્છો ને ‘તમે તમારા સાથીદાર થી નજીક છો ?’

જવાબ સ્પષ્ટપણે ‘હા’ કે ‘ના’ માં ન પણ મળે, પણ ‘હા’ કે ‘ના’ માંથી કોઈ એક તરફ તો ઢળતો હોય શકે. જો ‘હા’ તરફ ઢળતો હોય તો જીવન જીવવા જેવું લાગતું હોય, જો ‘ના’ તરફ હોય તો …….(મારે લખવાની જરુર નથી, જવાબ તમારો જ છે, ખાનગી છે અને ખાનગી રહેશે.). મને તો માનવીય લાગણીઓમાં શ્રધ્ધા છે અને તેથી હું તો માનું છું કે પતિ-પત્નીના સંબંધો એ અમદાવાદના ઝુલતા મીનારા જેવા છે, બન્ને દુન્યવી રીતે એકબીજાથી સ્વતંત્ર દેખાય છે, પણ એક્ને ઢંઢોળો તો બીજો તુરંત જ આંદોલીત થાય. જો આવું ન હોય તો ? એમાં ફેરફાર થઈ શકે ? જરુર થઈ શકે. ફક્ત એકબીજાના લાગણીતંત્રને જોડતા કંપનો આડેથી અવરોધો દૂર કરવા પડે. આ માટે પ્રયત્ન કરવો પડે, જેઓને અવરોધ દેખાય છે તેમણે અવરોધ દૂર કરવા માટે અને જેમને કોઈ અવરોધ નથી તેમણે જીવનને વધુ મધુર બનાવવા માટે.

તમને ધીરજપૂર્વક પ્રયત્ન કરવાની ઇચ્છા છે ? તો આત્મ નિરીક્ષણ કરવું પડશે. આત્મનિરીક્ષણની વાત સાંભળી આધ્યામિકતામાં સરી પડવાની જરુર નથી, એવી કોઈ વાત જ નથી. પણા માનસશાસ્ત્રના સાદા નિયમોને ધ્યાનમાં લઈ થોડાક જવાબ આપવાના છે.

તમે તૈયાર છો ?

કાલે ફરી મળીએ….

(મિત્રો ! પતિ-પત્નીના સંબંધોને સુમધુર બનાવવા કેટલાક પ્રયત્ન કરી શકાય તેમ છે. ચાલો, આ લખાણોની એક શ્રેણી બનાવીએ અને માંગલ્યની દિશામાં સંયુક્ત પ્રયત્ન કરીએ.)

પતિ-પત્નીના મજબૂત સંબંધોમાં નાજુકતા ક્યાંથી ?

પ્રેમ અને હૃદયથી હૃદયના તારથી જોડાયેલ લગ્નસંબંધ મજબૂત જ હોય પણ તેમાં ક્યારેક તોફાની લહેરો પણ ઊઠે છે.

ઊઠવી જ જોઇએ.એ સંબંધની તદુરસ્તીની નિશાની છે. આવી લહેરો ક્યારે ઊઠે તે જોવાનો પ્રયત્ન તો કરીશું જ.

પણ –

ફક્ત અને ફક્ત વહેવાર પર રચાયેલ આ સંબંધ નાજુક જ હોય ?

ના, એવૂં પણ નથી. નિકટતાથી બદલાવ આવી શકે. શરત એ છે કે પારદર્શિતા વધારવી પડે.

મારા મિત્ર શ્રી સુલેમાન દલ ના બે ફોટોગ્રાફ જુઓ –

Image

પારદર્શિતા વધશે તો મનની કડવાશ(જળબિન્દુમા દેખાતા કાંટાની જેમ) સ્પષ્ટ થશે.

કડવાશ દૂર કરો કાંટા ફુલમાં ફેરવાય જશે.

Image

વિચારી જુઓ !

(સુલેમાનભાઇના (At – Chalala, Gujarat, India ) ફોટોગ્રાફ નેચરલ છે, ફોટોશોપની કોઇ કમાલ નથી.)