હમણાં એક મિત્રની પોસ્ટ અને ઇ-મેઈલ મિત્રોની વચ્ચે સુખ-દુઃખની વ્યુત્પત્તિના સંદર્ભમાં ચર્ચા ચલી. એમાં એક જૈન સોસાયટીના મિત્રોએ બનાવેલ બે-અઢી કલાકની ફીલ્મ વાતો થઈ અને તેની નીચે આપેલી ક્લીપીંગ્સની ચર્ચા થઈ. એનું તારણ એવું નીકળે કે સુખ એક ભ્રાંતિ છે અને દુઃખ છે તો તેના પ્રમાણમાં સુખ છે. જ્યારે કોઈ વાતનું દુઃખ મટી જાય પછી સુખ આપનારી વસ્તુ કે વ્યક્તિ પણ દુઃખદાયક થઈ પડે. ખુબ ગરમીમાંથી ઘરમાં આવીએ ત્યારે ઠંડુ સરબત સુખ આપે પણ જ્યારે એક ગ્લાસથી ટાઢક થઈ જાય પછી બીજો ગ્લાસ સુખ આપનારું સરબત દુઃખદાયક બને. આમ દુઃખ સમાપ્ત, સુખ પણ સમાપ્ત. આગળ વધીને ‘આત્મીક સુખ’ની વાતો થઈ. વચ્ચે Abraham Maslow ના ‘નીડ પીરામીડ’ની વાત કરી, પણ તે માનવીના જીવન દરમ્યાન જુદા જુદા તબક્કાઓની જરુરીયાતોને પુરી કરવામાં આવતા પ્રયત્નોને, જરુરીયાત/અપેક્ષાઓના બદલે સુખ મેળવવાના ભાગરુપે દર્શાવીને સમજાવ્યું. વધુ વિગતો શ્રી સુરેશભાઈના બ્લોગ પર –
સુખ અને દુઃખ – एक चीज़ मिलेगी वन्डरफूल !
મેં ચર્ચામાં ભાગ ન લીધો પણ મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા. સૌ પ્રથમ તો, આ બધી ચર્ચાનું તારણ શું ? એથીય વધુ, શું આવી ચર્ચા જરુરી ખરી ? સીનીયર સીટીઝનોમાં આવી ચર્ચા શું ‘ટાઈમપાસ’ છે ? શું આ બાબતો તેના બાળકોના મગજમાં ઉતારી શકવાના છે ? કે પછી હું પણ ફીલોસોફીની ચર્ચા કરી શકું એવો સુક્ષ્મ અહં છે ? (મને પણ, મનમાં થાય છે કે મારે આ બધુ લખવાની શું જરુર ? મારામાં પણ ‘અહં’ ભરેલો છે ? જે હોય તે, પણ મગજમાં ભરાયું છે તો તેનો ફ્લશ આઉટ કરી નાખી ‘હળવો બની’ જાઉં..)
સૌ પ્રથમ તો ગીતાના બીજા અધ્યાયમાં ‘આત્મા’ની વ્યાખ્યા અને સ્વરુપની ચર્ચા છે. મારી સમજ પ્રમાણે, આત્મા એક ‘Absolute’ અસ્તિત્વ હોય શકે, અને જો તેને ‘શક્તિપૂંજ’ (energy – મારી માન્યતા મુજબ) નું સ્વરુપ ગણીએ તો પણ તેને સુખ-દુઃખ લાગુ પડી શકે નહીં. જો એમ હોય તો ‘આત્મિક સુખ’ શબ્દ જ વ્યર્થ છે. આવી વ્યર્થ વસ્તુની ખોજ પણ વ્યર્થ છે. આ જગતમાં મારું અસ્તિત્વ પ્રકટ થયું પછી મને જે વસ્તુ/કાર્યમાં ‘આનંદ’ મળે તે હું કરું. એ મારા ‘અસ્તિત્વ’ ના આનંદની વાત છે. બીજી રીતે વિચારીએ તો – પરપીડનની વૃતિ ધરાવતો માણસ પોતાને કોઈ દુઃખ નથી છતાં પરપીડન કાર્યોથી સુખ (આનંદ) મેળવે છે. આમાં દુઃખ આપનાર વ્યક્તિની ‘દુઃખ’ની માત્રા ક્યાં આવી ?
કદાચ ઉપરની વીડીયો ક્લીપીંગ્સમાં ‘આત્મિક સુખ’, આવા ‘આનંદ’ ના પર્યાય રુપે વર્ણવાયો હોય.
હકીકતમાં સુખ અને દુઃખની વ્યાખ્યા મનુષ્ય જાતે બનાવે છે અથવા નાનપણમાં થતા સામાજીકરણ દરમ્યાન શીખે છે. દરેકની સુખ-દુઃખની વ્યાખ્યા અલગ અલગ છે. સો ટકા આસ્થા ધરાવતો માણસ ઇશ્વરના પુજાપાઠમાં સુખ મેળવે છે, તો નીરીશ્વરવાદી તેને વ્યર્થ ગણી તેનાથી દુર ભાગે છે.નરસિંહ મહેતાને હરીજનવાસમાં ભજન કરવામાં સુખ મળે છે, પણ નાગરજનને કોઈ હરીજનનો સ્પર્શ દુઃખ દે છે. નાના બાળકને સ્કુલમાં કોઈ મિત્રની પેન ગમી જાય તો ઝુંટવી લઈ ‘પોતાની કરવામાં’ સુખ મળે છે, પણ જ્યારે મા તેને સમજાવે કે ‘આમ ન કરાય’, તો ભવિષ્યમાં તેની કોઈ વસ્તુ ઝૂટવાય તો તેને દુઃખ થાય છે. ટૂંકમાં સુખ અને દુઃખની વ્યાખ્યા વ્યક્તિ તેના સામાજીકરણ દરમ્યાન પોતે જ ઘડે છે.
ખાસ કરીને તો આ સુખ-દુઃખ ‘શરીર’ સુધી સીમિત છે. એમાં આત્મા ક્યાંય આવતો નથી.
તો પછી ‘આત્મિક સુખ’ નું શું ?
માનવીએ કરવાનું શું ?
કશું નહી.
તમને જે કરવામાં ‘આનંદ’ આવે તે કરવું.
જો તમને લાગે કે અત્યારે જ્યાં છું ત્યાં ‘મજા’ નથી આવતી તો થેલો લઈને નીકળી પડો. તમને જો કુટુંબ-સમાજનો ‘થાંભલો’ પકડી જીવવામાં ‘સુખ’ લાગતું તો હોય તો પછી, ‘આત્મિક સુખ’ માટે શું કરવું ? એવા પ્રશ્નોમાં ગુંચવાય શા માટે દુઃખી થવું ?’ ‘થાભલો મને છોડતો નથી’ એવું વિચારી ‘દુઃખી’ શા માટે થવું.
મુળમાં, સવાલ ‘સ્વીકૃતિ’ (acceptance) નો છે. ‘તમે જે છો’ તે સ્વીકારો. તમારી ‘મર્યાદા’ઓ (limits) ને સ્વીકારો. મારાથી ‘આટલું જ થાય છે, વધુ નથી થતું’ એવું વિચારી દુઃખી ન થાવ. જો વધારે મેળવવું છે તો પ્રયત્ન કરો, પણ પોતાની લીમીટ્સ સ્વીકારી ને. તો દુઃખી નહીં થવાય. શારીરિક આનંદ મેળવવા, પ્રયત્નોથી ‘મર્યાદા’ઓ વધારી શકાય છે. પોતાની મર્યાદાઓ સ્વીકારી હશે તો નિષ્ફળતાથી દુઃખી નહી થવાય.
આપણી આસપાસના માણસો, પ્રસંગોને સ્વીકારો. તમે તેમાં ફેરફાર નહી કરી શકો. ઘરના માણાસો ‘જેવા છે તેવા’ સ્વીકારો, તકલીફ નહી થાય. સમાજના રીતરીવાજો ‘જે છે તે છે’, તેવું સ્વીકારો. રીવાજો નીભાવવામાં તકલીફ નહીં પડે. તમારે બદલાવ લાવવો છે તો બદલાવ માટે સમજાવો, તેવું વાતાવરણ ઉભું કરો, સામેવાળો ‘સ્વીકારે’ તો ‘બદલાવ’ આવશે. તમે ન બદલી શકો તે સ્વીકારો.
તમે ‘દુઃખ’ ને ‘સ્વીકારો’ તો દુઃખ, ‘દુઃખ’ નહીં રહે. ‘સુખ’ને સ્વીકારો, સુખ, ‘સુખ’ નહીં રહે.
બસ, જે છે, જેમ છે, તે છે, તેમ છે – સ્વીકારો.