અગાઊની પોસ્ટમાં આપણે ઇન્ટ્રોવર્ટની વર્તણુક વિષેની વાત કરી. સામાન્ય બુદ્ધિથી એવું લાગે કે એક્સ્ટ્રોવર્ટ વધારે બુદ્ધિશાળી હશે, કારણ કે પોતાના વિચારો બેજીજક રજુ કરતા હોય, પછી ભલે ખોટા હોય કે સાચા, વિચાર્યા વગરના હોય, અનુભવ વગરના હોય, પણ રજુઆતથી સામેવાળો અંજાય જાય અને તેને બુદ્ધિશાળી તરીકે પ્રસ્થાપિત કરી દે. હકીકતમાં આ બંને વ્યક્તિઓમાં બુદ્ધિમત્તાનો કોઈ તફાવત હોતો નથી. તફાવત તેમના મગજમાં થતા રસાયણના સ્રાવનો અને તેના પ્રતિ મગજની પ્રતિક્રિયાનો હોય છે.
માનવીના શરીરનો અંદરનો સંદેશા વ્યવહાર સમજવા માટે ‘નર્વ સેલ્સ’ અને ન્યુરોટ્રાન્સમીટરને સમજવા પડે. આંખે કોઈ દ્રશ્ય જોયું, પણ એ દ્રશ્યનું વિવરણ મગજ સુધી ન પહોંચી શકે તો કોઈ તેનો અર્થ નથી. મુન્નાભાઈ M.B.B.S. માં કોમામાં પડેલા વ્યક્તિની આંખો ખુલી છે, દ્રશ્ય જુએ છે, પણ તેનું વિવરણ મગજ સુધી પહોંચતું નથી અને તેથી તેનો કોઈ અર્થ નથી. આપણે દ્રશ્ય જોઈએ, તેનું વિવરણ મગજ સુધી પહોંચે છે. મગજમાં ભુતકાળના અનુભવોનું જ્ઞાન તેનું વિશ્લેષણ કરે અને હવે શું કરવું જોઈએ તેની પ્રતિક્રિયા તુરત આપે. આમ આ સંદેશોની આપ-લે કરનારા ‘વાયરો’ નર્વસેલ્સના (neurone or nerve cell) બનેલા છે. (જેમ આપણા ઇલેક્ટ્રીકના વાયરો ધાતુના બનેલા છે.) ઇલેક્ટ્રીક વાયરમાં કરન્ટ પસાર થાય ત્યારે ધાતુ ખસતી નથી, પણ તેમાંથી ઇલેટ્રોન પસાર થાય છે, જ્યારે નર્વસેલ્સ વિદ્યુતથી ઉત્તેજીત થતા સેલ્સ છે. આ બે સેલ્સની વચ્ચે માઈક્રો જગ્યા હોય છે તેમાંથી ‘ન્યુરોટ્રાન્સમીટર’ પસાર થાય છે અને એક નર્વસેલથી બીજા નર્વસેલને સંદેશો પહોંચાડે છે. આ ન્યુરોટ્રાન્સમીટર એ એક પ્રકારના રસાયણના અણુઓ જ છે. મગજમાં રહેલા સેલ્સ પણ આ ન્યુરોટ્રાન્સમીટરની મદદથી સંદેશાની આપ-લે કરે છે. આ ન્યુરોટ્રાન્સમીટર ઘણા પ્રકારના હોય છે. આપણે ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટના તફાવતને સમજવા માટે ન્યુરોટ્રાન્સમીટરના બે પ્રકાર જ જાણવા પડે. એ બે છે – ‘ડોપામાઈન’ (Dopamine) અને ‘અસીટોકોલીન’ (Acetylcholine).
એક્સ્ટ્રોવર્ટના મગજમાં ‘ડોપામાઈન’ નામના ન્યુરોટ્રાન્સમીટરના વધારે સ્રાવ સામે મગજની પ્રતિક્રિયા અલગ પ્રકારની થાય છે. ડોપામાઈન એવું રસાયણ છે કે તે બહારથી વળતર મેળવવા જેમકે પૈસા કમાવા, સમાજમાં નામ કમાવું, પોતાનું સ્થાન મજબુત કરવું, નવું કરવા જોખમ લેવું … વગેરે માટે વધારે પ્રેરીત કરે છે. આમ ડોપામાઈનના સ્રાવની, પ્રતિક્રિયામાં મગજને અલગ પ્રકારની પ્રેરણા (motivation) મળે છે. વ્યક્તિ વધારે બોલકી થઈ જાય છે. ડોપામાઈનની જેમ બીજા ન્યુરોટ્રાન્સમીટર છે ‘અસીટોકોલાઈન’. એ પણ સુખ અને આનંદ સાથે જોડાયેલા છે, પણ તે વ્યક્તિને ઉંડાણથી વિચારવા, પ્રતિક્રિયા આપવા પ્રેરે છે. કોઈ એક વસ્તુ પર લાંબો સમય ક્રેન્દ્રીત કરે છે. આથી એ સમજાય છે કે ઇન્ટ્રોવર્ટને શાંત વાતાવરણ શા માટે પસંદ છે. આવી વ્યક્તિઓ જ્યારે પાર્ટીમા હોય ત્યારે ઘણી બધી વસ્તુઓ પર ધ્યાન આપે છે અને તેથી ઝડપથી ‘થાકી’ જાય છે.
આ ઉપરાંત આ બંને ન્યુરોટ્રાન્સમીટરની શરીરની જુદી જુદી નર્વ સીસ્ટમ પર અસર પડતી હોય છે. આપણા શરીરની નર્વ સીસ્ટમમાં ઓટોમેટીક રીતે શરીર તંત્રને ચલાવતી સીસ્ટમમાં બે ભાગ છે એક સીમ્પેથેટીક સીસ્ટમ – જેને ‘fight, flight or freeze’ તરીકે પણ ઓળખી શકાય. આ વિભાગ આપણને વધારે એલર્ટ રાખે છે, નવી પ્રવૃતિ તરફ પ્રેરે છે, શરીરને સ્ફુર્તિમાં રાખવા અવયવોને તૈયાર કરે છે. એક્સ્ટ્રોવર્ટમાં સીમ્પેથેટીક ભાગ પર ડોપામાઈનની અસર થાય છે. આ અવસ્થામાં વિચારવાનું ઓછું હોય છે, ત્વરીત નિર્ણય લેવાનો હોય છે.
બીજો ભાગ છે પેરાસીમ્પેથેટીક સીસ્ટમ – જેને ‘rest-and-digest’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિભાગ આપણને વધારે શાંત રાખવામાં ભાગ ભજવે છે. શરીર પોતાની શક્તિને સંગ્રહીત રાખે છે. સ્નાયુઓ રીલેક્સ થાય છે. અસીટોકોલીન આ વિભાગ પર અસર કરે છે. આથી ઇન્ટ્રોવર્ટ વધારે શાંત રહે છે. વધારે વિચારે છે. તે લોકો અચાનક ઉભી થતી પરિસ્થિતિમાં બહુ ઉશ્કેરાટ અનુભવતા નથી.
ઇન્ટ્રોવર્ટ-એક્સ્ટ્રોવર્ટના તફાવત સરળતાથી સમજવા Quiet Revolution સાઈટની મુલાકાત લેવા જેવી છે. જેમા આ બંનેનો તફાવત સરસ રીતે ચિત્રાત્મક રીતે સમજાવ્યો છે. નમુના રુપ –
આ ચિત્રમાં જોઈ શકીએ કે એક્સ્ટોવર્ટ બહારથી જે સંદેશો મળે તે સીધો જ મગજને પ્રોસેસ કરવા મોકલી આપે છે જ્યારે ઇન્ટ્રોવર્ટ આવેલા સંદેશાને ભુતકાળની મેમરીમાંથી પસાર કરી, પ્લાનીંગ કરી પછી મગજને પ્રોસેસ કરવા મોકલે છે. આમ સમય વધારે લે છે. એ જ રીતે સાઈટ પરના બધા ચિત્રો ખુબ સરળતાથી તફાવત સમજાવે છે.
અંતે કોઈપણ વ્યક્તિ સંપુર્ણપણે ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટ હોતી નથી. એવું હોય તો માનસિક અસ્થિર ગણાય કે માનસિક રોગી ગણાય. આપણે બધા વચ્ચેના કોઈક પોઈન્ટ પર હોઈએ છીએ.
આવી કશી ખબર ન હતી. જ્ઞાન આપવા માટે આભાર.
LikeLike