પાવર મોટીવેશન –

આજે જ્યારે કુદરતની સાથે સાથે રાજકારણની ગરમી ટોચ પર છે ત્યારે રાજકારણીઓના એક ગુણ – Motive તપાસવાની ઇચ્છા થઈ – Power Motivation

માનવીના જીવનના જીવવાના વિવિધ પ્રેરક બળો હોય છે. કેટલાકને સંપુર્ણ ધ્યેય આધારીત હોય, કેટલાકને લાગણી આધારીત હોય, કોઈને વળી માન્યતા આધારીત હોય. આ બધામાં, ગઈ સદીમાં મનોવૈજ્ઞાનિકોએ ત્રણ મુખ્ય પ્રેરક બળો પર વધારે ભાર મુક્યો – Achievement -સિદ્ધિ કે પ્રાપ્તિ, Power – સત્તા, સામર્થ્ય, પ્રભાવ, વર્ચસ્વ, અને Affiliation – સંબંધ, જોડાણ, સહબદ્ધતા (ગુજરાતીમાં આપણે ‘લાગણી’ ના સંદર્ભમાં પણ વાપરીએ છીએ.)

Motivation

Achievement –

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાર્યને વળગી પુર્ણ કરવામાં, ઊત્કૃષ્ટ બનાવવામાં મચી પડેલો હોય. જેમ આજનો યુવાન પોતાની કેરીયર, ધ્યેયને પ્રાપ્ત કરવા અન્ય બાબતોને ગૌણ ગણે છે અને એક જ દિશામાં પોતાનું સમગ્ર અસ્તિત્વ એમાં જ ઓગાળી દે છે.

B 5050

Power –

આવી વ્યક્તિ અન્યને કન્ટ્રોલમાં લેવાનો/રાખવાના પ્રયત્નમાં હોય છે. આ કન્ટ્રોલ એ પોલીસની જેમ દંડા શાહીનો ન પણ હોય, માનવીની લાગણીઓનો ઉપયોગ કરી કાબુમાં રાખવાના પ્રયત્ન કરે છે, જેમ સાધુ મહાત્માઓ લોકોની ધાર્મિક લાગણીનો ઉપયોગ કે રાજકારણીઓ તેમની સામાજીક સંવેદનાઓનો ઉપયોગ કરી તેમના પર વર્ચસ્વ સ્થાપિત કરે છે.

follow

Affiliation –

આ પ્રકારના પ્રેરકબળ ધરાવતા લોકો અન્ય લોકો સાથે હળવા-મળવાનું, અન્ય લોકો પોતાને પસંદ કરે એવા પ્રયત્નમાં લાગેલા રહે છે.

ડેવીડ વિન્ટર એ અમેરિકાના પ્રમુખોની મોટીવેશન પ્રોફાઈલ્સના અભ્યાસ કર્યા અને તેના આધારે જે તે પ્રમુખ ભવિષ્યમાં કઈ રીતે કાર્ય કરશે તેની આગાહી કરવાનો પ્રયત્ન કર્યો. એ માટે તેણે પ્રમુખોના વક્તવ્યોનો આધાર લીધો. અભ્યાસના આધારે કી ફેક્ટર તરીકે Power motivation ઉપસી આવ્યું. (ભારતના રાજકારણીઓનો પણ અભ્યાસ કરવા જેવો ખરો !)

Achievement motivation નો પાયો Need for Achievement છે, જેમાં વ્યક્તિ ઉચ્ચ મુલ્યોની પસંદગી કરે છે, સિદ્ધાંતોને વળગી રહેવા પ્રયત્ન કરે છે, કાર્યોમાં ઉચ્ચ ગુણવત્તાનો આગ્રહ રાખે છે, હરીફાઈમાં આગળ રહેવાનો આગ્રહ હોય છે. ઉદ્યોગ સાહસિકો માટે આ ગુણ-Need ખુબ જરુરી છે. જો કે સામાજીક ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓને આ Need માટે સમાધાન કરવું પડે છે, જેના કારણે તેઓની કાર્યક્ષમતા પણ ઘટે છે અને જે લોકો સમાધાન નથી કરી શકતા તેઓ સામાજીક ક્ષેત્રમાંથી દુર ફેંકાય જાય છે.

સામે પક્ષે ખુબ ઉચ્ચ સ્તરની Power need ધરાવતી વ્યક્તિ પોતાના શબ્દો માટે ઝગડા સુધી પહોંચી જાય છે. (આમ જ થવું જોઈએ…). સારા-નરસા અંગેની સભાનતા રહેતી નથી. બીજાને પોતાના કાબુમાં કરવા કાવાદાવાઓ કરી શકે છે.

લીડર બનવા માટે Power motivation  જરુરી છે, પણ એ વ્યક્તિમાં Achievement need પણ હોવી જરુરી છે.

આ ચુટણીમાં આપણને Achievement need સહીતનો Power motivated નેતા મળે તો ઈશ્વરકૃપા, નહીંતર કરોડોના ચુટણી ખર્ચ પછી હતા ત્યાંના ત્યાં………….

રોલ મોડેલ –

અગાઊની પોસ્ટમાં રોલ મોડેલનો ઉલ્લેખ થયેલો. આપણા સબ કોન્સીયસ માઈન્ડની તાકાત સમજવી હોય તો આ રોલ મોડેલના મુદ્દાને ધ્યાનમાં લેવા જેવું છે. મનુષ્યને જીવતા રહેવા માટે જુદી જુદી પ્રેરણાઓ કામ કરે છે, જેમાંની મુખ્ય ત્રણ – સિધ્ધિ પ્રેરણા (Achievement motivation), સત્તા પ્રેરણા (Power motivation), સંબંધ (?) પ્રેરણા (Affiliation Motivation). દરેક વ્યક્તિ ત્રણે પ્રેરણા સાથે જીવન જીવે છે, દરેકનું પ્રમાણ જુદું જુદું હોય શકે – જેમકે ઉદ્યોગ સાહસિકો જેવા સાહસિકોમાં સિધ્ધિ પ્રેરણાનું મહત્વ વધારે હોય, નેતાઓ અને ગુરુ-મહારાજોમાં સત્તા પ્રેરણાનું પ્રમાણ વધારે હોય, જીવનમાં ખુબ નમ્ર અને જતું કરવાની વૃતિવાળા સંબંધ પ્રેરણાની અસર હેઠળ હોય.

‘રોલ મોડેલ’નો મુદ્દો સિધ્ધિપ્રેરણા સાથે સંકળાયેલ છે. હું મારો જ એક દાખલો આપી સમજાવવાનો પ્રયત્ન કરું.

આઠમાં ધોરણના વેકેશનમાં મારે ગામ ગયેલો. હવે આ વર્ષ સુધીમાં છકો-મકો, મિયાં ફુસકી, જુલે વર્નની કથાઓ, છાની છાની વાંચી વાંચીને ચશ્મા  આવી ગયેલા અને કાયમી પહેરવા પડે તેવી પરિસ્થિતિ હતી. જ્યારે ચશ્મા પહે્રી બસમાંથી ગામના પાદરે ઉતર્યો ત્યારે ત્યાં ઉભેલા ગામના દરબારે કહ્યું.

graduate1

‘આવો, ડોક્ટર’.

મારા દાદા અને આ દરબાર બંને સાથે જ જામનગર, જામસાહેબના આદેશથી આ ગામમાં વસવાટ માટે આવેલા, આથી અમારા ઘર સાથે ખુબ સારા સંબંધો. પણ વાત હતી ‘આવો ડોક્ટર’ ની. મારા સબ કોન્સીયસ માઈન્ડમાં આ ‘ડોક્ટર’ની છબી અંકીત થઈ ગઈ. એ જમાનામાં ગામડામાં ડોક્ટર જેવા વધુ ભણેલાઓને ચશ્મા હોય એવી ધારણા હતી, અને એથી જ દરબારથી અનાયાસે જ આવા ઉદગાર સરી પડેલા. મારા દુરના એક કાકા (હુલામણું નામ – ભલાકાકા) એ વખતે M.B.B.S.  થયેલા, તેમને પણ ચશ્મા હતા. ખુબ જ મૃદુભાસી અને પ્રેમાળ હતા. આથી મનમાં ભલાકાકાની છબી અંકીત થઈ ગઈ. મોટા થઈને ડોક્ટર બનવું એવું મનમાં છપાઈ ગયું. પછી તો SSC થઈ કોલેજમાં દાખલ થયો. પ્રી-સાયન્સ (પ્રથમ વર્ષ) કરી, F.Y.B.Sc. માં ગ્રુપ નક્કી કરવાનું આવ્યું ત્યારે ‘B’ ગૃપ પસંદ કર્યું, જે પસાર થયે મેડીકલ લાઈનમાં જઈ શકાય. એ વખતે પણ મેરીટની માથાકુટ હતી. F.Y. માં 65 % આવ્યા અને મેડીકલનું એડમીશન અટક્યું 66 % એ. એક ટકાના ડીફરન્સમાં એડમીશન ન મળ્યું. ગુજરાત તો ઠીક પણ છેક શ્રીનગરની કોલેજ સુધી મેડીકલના ફોર્મ ભર્યા હતા, ક્યાંય એડમીશન ન મળ્યું. (ડોનેશનનો રીવાજ હતો કે નહીં, તેની જાણકારી ન હતી અને તેવડ પણ નહી) હવે ? વાંધો નહી ! જો B.Sc. માં ફર્સ્ટ ક્લાસ આવે તો B.Sc. પછી મેરીટ લીસ્ટમાં નામ આવી જ જાય. એટલે નક્કી કર્યું B.Sc. માં ફર્સ્ટ ક્લાસ મેળવી મેડીકલમાં જવું, બે વર્ષ બગડે તો ભલે પણ ‘ડોક્ટર’ તો બનવું જ. આમ S.Y. B.Sc. T.Y. B.Sc. ના બે વર્ષ વધુ કર્યા. જે વર્ષે B.Sc. કર્યું એ વર્ષે નિયમ આવ્યો કે B.Sc. માટે મેડીકલમાં ફક્ત દશ ટકા સીટ ફાળવવી. ફરી B.Sc. નું અલગ મેરીટ લીસ્ટ બન્યું અને અગાઊની જેમ અડધા ટકા માટે મેડીકલમાં એડમીશન ન મળ્યું. હવે ? માંહ્યલો ઝંપવા ન દે.

વાંધો નહીં ! M.Sc. માં જો ફર્સ્ટ ક્લાસ આવે તો મેડીકલમાં એડમીશન મળે. ફરી M.Sc.ના પ્રયત્ન ચાલુ થયા. આમ પોસ્ટ ગ્રેજ્યુએશનના છ વર્ષ ગયા અને મેડીકલના પાંચ જુદા. પણ પ્રથમ વર્ષમાં હાયર સેકન્ડ ક્લાસ આવ્યો અને એ જમાનામાં બે વર્ષના માર્કસ સંયુક્ત ગણત્રીમાં લેવાતા. અમદાવાદ બી.જે. મેડીકલના ડીનને પત્ર લખ્યો કે M.Sc. માં હાયર સેકન્ડ ક્લાસ આવે તો મેડીકલમાં પ્રવેશ મળશે ? એમનો હતોત્સાહ કરતો પ્રત્યુત્તર આવી ગયો – ‘Sorry’. બસ મેડીકલના દરવાજા બંધ. M.Sc. Part II માં ૫૪ ટકા આવ્યા. (યુનીવર્સીટી ફર્સ્ટને ૫૮ ટકા હતા, આજના ભણતરમાં ?)

M.Sc. થયા પણ પેલી ‘ડોક્ટર’ ની ડીગ્રીનું શું ?

પોસ્ટ ગ્રેજ્યુએશન પછી Ph.D. કરીએ તો, ડોક્ટર કહેવાય !

બસ, Ph.D. ના ગાઈડને મળ્યો, એક વિષય પસંદ કરી વિચાર રજુ કર્યો, પણ તેણે તો પોતાની પસંદગીનો વિષય આપ્યો. (જેથી પોતાના અન્ય સ્ટુ્ડન્ટમાં રીસર્ચ વર્કની હેરાફેરી થઈ શકે) પાંચ વર્ષે ગાઈડ સાથે લડી-ઝગડીને ડોક્ટરેટ કર્યું, થીસીસમાં તો ત્રણ વર્ષના રીસર્ચ વર્કનો સમાવેશ થયો, બે વર્ષના રીસર્ચ વર્કનું દાન ગાઈડના ‘યસ સર !’ સ્ટુડન્ટને દાન થયું. પણ અંતે નામ આગળ ‘ડોક્ટર’ લાગ્યું.

આઠમા ધોરણથી અશાંત થયેલું મન, હવે અંદરથી શાંત થયું. (જો કે ડીગ્રી પ્રાપ્ત થયા પછી તેનું કોઈ મહત્વ રહ્યું નહી અને નામ આગળ કોઈ દિવસ ડોક્ટર કહેવડાવવાનો આગ્રહ પણ રહ્યો નહી.)

આમ યુવાનો યોગ્ય રોલ મોડેલની પસંદગી કરી લે તો ધ્યેય પ્રાપ્તિની દિશામાં જવા આંતરીક બળ મળતું રહે.

કોઈ તેમનો અનુભવ કહેશે ?

 

માનવીનું વર્તન તાલીમથી બદલે ?

દિવાળીની રજાઓ અને વેકેશન બાદ આજે ઘણા વખતે વધુ ગમતા કાર્યમાં પરત ફર્યાનો આનંદ છે. નવા વર્ષની શુભેચ્છાઓ આપી ‘નેટ-આઊટ’ થઈ ગયો હતો, આથી મિત્રોના પ્રેમનો પ્રતિસાદ ન હતો આપી શક્યો. આપની શુભેચ્છાઓ માટે આભારી છું. આ રજાઓમાં શરીરના પંચમહાભુત ઓળખવા ‘નેચરક્યોર હોસ્પીટલ’માં રહી પડ્યો હતો. આ ‘પંચમહાભુત’ની વાત પછી, આજે દિવ્યભાસ્કરના એક લેખના સંદર્ભમાં શ્રી વિદ્યુતભાઈ જોષીને લખેલો મેઈલ કોપી-પેસ્ટ કરીને મુકું છું.

માનનીય શ્રી વિદ્યુતભાઈ,

કેટલાક ગમતા અને લગભગ નિયમિત વંચાતા કટાર લેખકોમાં આપનું નામ પણ સામેલ છે. આપના ઘણા લેખ ચોટદાર લાગે છે. આપના જેવા સિધ્ધહસ્ત લેખકને સામાન્ય વાંચકોના પ્રોત્સાહન જરુર હોતી નથી આથી ગમતા લેખ માટે મેઈલ ન કરતો હોઊં તે સ્વભાવિક છે. પણ જ્યારે કોઈ આપણા વિચારોથી અલગ રજુઆત વાંચવામાં આવે ત્યારે મનનો માંહ્યલો ખળભળી ઉઠે અને વિચારોની તલવાર લઈ પટમાં કુદી પડવાની ઇચ્છા થઈ જાય. એવું જ મારા કિસ્સામાં બન્યું – આપનો ‘દિવ્યભાસ્કર’, તારીખ ૧૭-૧૧-૨૦૧૩, ‘સમુદ્રમંથન’ માં – ‘વર્તન તાલીમ’ પર નો લેખ વાંચીને બન્યું અને એમાં પણ જ્યારે ઉદ્યોગ સાહસિકતા તાલીમની વાત કરી ત્યારે આપને મેઈલ કરવાનું પાકું થઈ ગયું. (કારણ કે મેં પણ આવી સંસ્થામાં ૨૩ વર્ષ નોકરી કરી છે. ભલે રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટ કર્યું, પણ માનવમનના અજાણ્યા પ્રદેશોમાં ઘુમવાની નાનપણની ઇચ્છાઓ, આ સંસ્થામાં આંશિક સંતોષાઈ. શ્રી ઉદય પરીખ અને પ્રો. નાડકર્ણી પાસેથી માનવીય સંબંધો અને મોટીવેશનની એબીસીડી શીખવાની તક મળી.)

ઉપરોક્ત લેખમાંના કેટલાક વિચારો સાથે સો ટકા સહમત છું, જ્યાં નથી તે પણ નીચે પ્રસ્તુત છે.

–    તાલીમ પામેલા કેટલાક લોકો સુંઠના ગાંગડે ગાંધી થઈ, પોતાની સંસ્થાઓ પણ ચલાવવા લાગ્યા. (વિ.જો.)

સો ટકા સહમત. મેં મારી સંસ્થામાં ‘ગાંધી’ નહી પણ વિદ્યાર્થી બનવાનો પ્રયત્ન કર્યો હતો, પણ નાકામ રહ્યો. (અહીં આપની સંસ્થાકીય માળખાની મર્યાદાઓની વાત સાચી રહી)

–    આવી તાલીમથી વર્તન બદલી શકાય ? (વિ.જો.)

running businessman

હા ! બદલી શકાય, પણ જો તાલીમને ‘ગુજરાત’ મોડેલમાં બદલવામાં આવે તો. આજ સુધી થયેલા અને થઈ રહેલા પ્રયત્નો પશ્ચિમની પ્રજા માટે તૈયાર થયેલા મોડેલ પર ચાલી રહી છે (જેમ આપણા બાળકો અંગ્રેજી સ્કુલોમાં ‘રેઈન રેઈન ગો અવે, લીટલ જોની વોન્ટસ ટુ પ્લે’ ભણે છે). એચીવમેન્ટ મોટીવેશનના પ્રો. મેકલેલેન્ડ, ઉદ્યોગ સાહસિકો માટે 13 Competences ને મહત્વ આપે છે, જેમાં Risk taking ability નો ઉલ્લેખ નથી, કારણ કે પશ્ચિમની પ્રજા નાનપણથી જ ‘સ્વતંત્રતા’ અને ‘જોખમ ઉઠાવવા’ ટેવાયેલી છે, જ્યારે ગુજરાતમાં બાવીસ વર્ષનો ‘બાબો’ પણ હોય છે. મારી ૨૩ વર્ષની કારકિર્દીમાં આમારી સંસ્થા કે અન્ય આવી સંસ્થાઓએ ‘Risk taking ability’ ને સ્કોર કરવાના કોઈ પ્રયત્નો થયા હોવાનું જાણમાં નથી. સંસ્થાઓને સરકારી ગ્રાન્ટસમાં રસ હોય છે. સંસ્થાની સફળાતા દેખાડવા માટે ફક્ત નંબર ગેઈમ ખેલાતી રહે છે. ગુજરાતના જે સમાજમાં ‘Risk taking’ ભારોભાર છે ત્યાં ઉદ્યોગસાહસિક ‘Self Organised’ નથી. જેમ કે કાઠીયાવાડના પટેલો.

–    ખરેખર તો આવી તાલીમો બાદ વર્તન કેટલું બદલાયું તેનું સંશોધન કરાવવું જોઈએ. (વિ.જો.)

મને લાગે છે કે ગુજરાતના સંસ્કાર ‘સંશોધન’ના નથી અને સંસ્થાઓને પણ ફક્ત ‘Suvival’ માં જ રસ હોય છે.

–    શું ઉદ્યોગસાહસિકો, સરકારી સચિવો કે પ્રધાનોને તાલીમની જરુર નથી ? (વિ.જો.)

છે જ ! પણ તાલીમ ડીઝાઈન કરતાં પહેલાં ‘Need Survey’ કરવો પડે, તાલીમ લેનારના પ્રવર્તમાન વર્તનને સમજવું પડે, પછી જે તે માટે તાલીમ યોજી શકાય. કમભાગ્યે આપણે ત્યાં એવું થતું નથી. વિદેશી રેડીમેઈડ ટાઈમ ટેબલ લઈ આવી તાલીમ ગોઠવાય જાય છે. ગુજરાત સરકારે કોઈ મોટી તાલીમ સંસ્થા દ્વારા ગુજરાતના કર્મચારીઓને તાલીમ આપવાનો ભવ્ય કાર્યક્રમ કરી નાખ્યો પણ સરકારી કચેરીઓની હાલત સુધરી નહી. મુ્ળ વાત કર્મચારીમાં ‘નિષ્ઠા’ જાગૃત કરવાની હતી જ્યારે તાલીમમાં ‘નિષ્ઠા’નો કોઈ ઉલ્લેખ જ ન હતો.

–    માનવ વર્તનના ત્રણ પરિણામો છે – વ્યક્તિગત, સંસ્થાગત અને સાંસ્કૃતિક. (વિ.જો.)

સો ટકા સહમત.

પણ મારા તરફથી થો્ડી મારી સમજણ ઉમેરું તો –

ત્રણમાંથી બે પરિમાણો – સંસ્થાગત અને સંસ્કૃતિક – માનવ-વર્તનના ‘controling’ પરિમાણો કહી શકાય. ઉદાહરણરુપે, જેમ નોકરીયાત કુટુંબમાં ઉછરેલ યુવાન ઉદ્યોગસાહસિક બનવાનો પ્રયત્ન કરે ત્યારે ટેકો ન મળે, તેમ જ તેનામાં ઉદ્યોગસાહસિક બનવા માટેના કેટલાક ગુણધર્મો પણ વિકસિત ન હોય, એ સ્વભાવિક છે. પણ તેને યોગ્ય રીતે ‘Achievement Motivation’ ની તાલીમ આપવામાં આવે અને ‘Goal Clearity’ કરાવવામાં આવે તો તેનું વર્તન એવી રીતે બદલી શકાય કે જે સંસ્થાગત અને સંસ્કૃતિક પરિમાણો સામે ટકી શકે. સરકારી કચેરીઓમાં પણ જ્યાં સંસ્થાગત માળખામાં રહીને પણ ભ્રષ્ટાચાર થઈ શકતો હોય ત્યાં પ્રમાણિક માણસો મળી જ રહે છે. તમે તેને ‘અપવાદ’ કહી શકો પણ એ ‘છે’ તે હકીકત છે.

આમ હું શ્રધ્ધાપુર્વક માનું છું કે ‘તાલીમ દ્વારા માનવીનું વર્તન બદલી શકાય, જે અન્ય બે પરિમાણો – સંસ્થાગત અને સાંસ્કૃતિક – સામે ચોક્કસપણે ટકી શકે.’

બસ હવે તો મિત્રોના પ્રતિભાવોની રાહ છે…

માનનીય વિદ્યુ્તભાઈનો પ્રતિભવ તો મળી જ ગયો છે –

સ્નેહી શ્રી જગદીશભાઈ,

   લેખમાં રસ લેવા બદલ આભાર  . વર્તન ના ત્રણેય પરિમાણો હોય તો જ વર્તન પરિવર્તન સફળ જાય તેમ વર્તન વિજ્ઞાનીઓ કહે છે  .માત્ર તાલીમ થી નહિ  . આનો તર્ક સમજવો પડે  .વિજ્ઞાન તર્ક પર જ ચાલે છે ને? રોથાલીસ્બર્જર અને ડિક્સન નું હોથોર્ન  એક્સપેરીમેન્ટ જોઈ લેશો  .વર્તન વિજ્ઞાન ના પાયામાં તે છે  . આ ઉપરાંત માત્ર તાલીમથી વર્તન બદલવાના જે પ્રયાસો થયા, અને જ્યાં સંસ્થાકીય અને સાંસ્કૃતિક પરિમાણો  વિરુદ્ધ હતા,ત્યાં આ ન થઇ શક્યું, તે વાત અનેક સંશોધન થી સાબિત થઇ ચુકી છે  .પરંતુ જેમ જ્યોતિષમાં લોકો શ્રદ્ધા ધરાવે છે તેમ કસોટી કર્યા વિના તાલીમમાં પણ શ્રદ્ધા ધરાવે છે  . પછી આ બાબત પરંપરા બની જાય છે  .જેમ લગ્ન કરવા માટે વિધિ એ માત્ર કર્મકાંડ છે તેમ  . પરંતુ તમે જો તમારો તર્ક સાબિત કરી શકો તો વાત સ્વીકાર્ય બને  .
  વિદ્યુત જોષી 

વિચારોનું વળગણ –

કેટલાક વાક્યો વાંચો –

‘ફરજવશ જીવતો છું, માટે થોડુંક નાછુટકે પેટમાં નાખું છું. હકીકતે તો કશું જ ગમતું નથી….

બાકી ક્યાં જાઊ, ભાગી જાઊ કે શું કરું ?….

વળી સાવેસાવ એકાકી જીવું છું…..

કોઈના ય ગમે તેવા કૃત્ય કે પ્રહાર પ્રત્યે ફક્ત એક જ પ્રતિભાવ – ‘ભઈ, માણસ છે !’…..

બીજા શબ્દોમાં કહું તો અંતકાળે હતાશ છું …

http://en.wikipedia.org/wiki/Major_depressive_disorder માંથી સાભાર -

http://en.wikipedia.org/wiki/Major_depressive_disorder માંથી સાભાર –

આ અવતરણો છે  –  એક વિચારકના – રેશનાલીસ્ટના – મૃત્યુની રાહ જોતા જોતા લખાયેલા છે. એમના લખાણોએ ઘણાને દિશાસુચન, નવા વિચારો, પ્રેરણા પુરી પાડી હશે. આપણે પણ આ લખાણના શબ્દોનો ઉપયોગ આપણી જાતને સમજવા કરીએ –

‘ભાગી જાઊ’, ‘એકાકી’, ‘હતાશ’ આ શબ્દો મનમાં ક્યારે ઉઠે ?

દરેક વ્યક્તિ પોતાની જાતને બીજા કરતા ‘અલગ’ માનવાનો પ્રયત્ન કરે ત્યારે ‘એકાકી’ બની જાય. દરેક સંપ્રદાયો તેમના અનુયાયીઓને એક લેબલ આપી દે – હું ‘વૈશ્નવ’, હું ‘સ્વાધ્યાયી’, હું ‘સ્વામીનારાયણી કે સતસંગી’, હું ‘જૈન’ ….. ક્યારેક વ્યક્તિઓ પોતે જાતે લેબલ ધારણ કરે – હું ‘અમીર’, હું ‘એથીસ્ટ’, હું ‘રેશનાલીસ્ટ’, હું ‘આસ્તિક’….

પણ… આ લેબલોમાં, મુળમાં રહેલા ‘માણસ’ને ભુલી જાય છે.

શું માનવીને સમાનતાની ‘એલર્જી’ છે ?

કે ‘અલગતા’નો આગ્રહ છે ?

‘એકાકી’ની અનુભુતિ ક્યારે થાય ?

જો હું બીજા કરતા ‘અલગ’ છું એવી ભાવના મનમાં જન્મે ત્યારે.

માનવીને જીવવા માટેની મુળભુત પ્રેરણાઓમાં એક  ‘Power Motivation’ છે. અહીં પાવરનો સાદો અર્થ ‘શક્તિ’ નથી પણ ‘To influence others’ એવો છે. સરળ સમજણ માટે આપણે મોટા ભાગના નેતાઓ, ગુરુ અને સ્વામીજીઓના મોટીવેશનને લઈએ તો તેમની એક પ્રેરણા ‘મારે અનુયાયીનો કાફલો હોય’. આ પાવર મોટીવેશન. (દુર ક્યાં જાઓ છો ! તમે પણ તમારા બ્લોગ ફોલોઅરની સંખ્યા પર નજર રાખો છો ને !) શક્ય છે, આ પાવરમોટીવેશન એ ‘અલગતા’નું મુળ હોય શકે ?

‘હું પણ સામાન્ય માણસ જ છું’ એવી સ્વીકૃતિ કદાચ આપણને સૌની સાથે જોડી રાખે. સમાનતા સ્વીકારવી પડે. પછી ‘એકાકીપણુ’ ન રહે. બધા સામાન્ય માણસો વિવિધ દુઃખથી પીડાય છે, કેટલાક મારાથી પણ વધારે દુઃખી હશે, હું પણ માણસ છું, મને પણ અન્યની જેમ દુઃખ, લાગણી વગેરે થાય, આ વિચાર, મને ‘હતાશ’ થતા રોકે.

આપણને ફક્ત આ ‘અલગતા’ના વિચારનું જ વળગણ છે એવું નથી. વિચારોના બીજા કેટલાય વળગણો છે જે સુખ-દુઃખ આપનારા છે. આ બધા માનવીના મગજમાં લટકતી ‘દોરી’ઓના ‘ટેકા’ છે.

અપેક્ષાઓની દોરીઓ પણ છુટી જાય તો અંતકાળનું દુઃખ ઓછું થાય.

અંતકાળ જ શું કામ ? જીવન પણ સરળ બને.

આ પોસ્ટની શરુઆતના શબ્દો છે અંતકાળની રાહ જોતા પ્રા. રમણ પાઠક ના ‘રમણભ્રમણ’ ના લેખમાંથી. (મેં ‘અભિવ્યક્તિ’ પર વાંચ્યો) આ લેખ પરનો મારો પ્રતિભાવ એ લેખકના લખાણની ટીકા સ્વરુપે નથી પણ એ લખાણમાંથી લઈ શકાય એવા બોધ સ્વરુપે છે. તેઓશ્રીએ ઘણું આપ્યું છે તો અપણે પણ એમાંથી કંઇક લેવાનો પ્રયત્ન કરીએ એવી આભારની અભિવ્યક્તિ માત્ર છે.

થોડુંક વધારે –

હમણા કેટલાક દિવસથી મન-મગજ, યોગ, આઝાદ બનો એવી બધી ઝફા વાંચવાની/લખવાની વધારે રહી. આ બધી ગુંચવણોમાં તારણ સુધી તો પહોંચી શકાયું નહી. પણ એક નવો મુદ્દો મનમાં આવ્યો.

આપણે જીવીએ છીએ શા માટે ?

મોટીવેશનની તાલીમમાં, તાલીમ શરુ કરતા પહેલા ‘આઈસબ્રેકીંગ’ના ભાગરુપે અમે પાર્ટીશીપન્ટસને એક નોટ લખવા આપતા (મનની વિચારધારા બ્રેક કરવાને આઈસબ્રેકીંગ કહે છે, એનાથી કુતુહલતા વધે છે પરીણામે તાલીમમાં ગ્રહણશક્તિ વધે છે.) –

‘Why I am here ?’

બધા પોતપોતાની ઇચ્છાઓ, આકાંક્ષાઓ વ્યક્ત કરતા, આ નોંધનો ઉપયોગ ગોલસેટીંગમાં પણ કરી શકાય, પણ અમે ફક્ત મનને ફ્રેશ કરવા તેનો ઉપયોગ કરતા. આ નોંધનું વિશ્લેષણ કરીએ તો આનંદ આવે. તમને ઇચ્છા થાય તો પ્રયત્ન કરી જુઓ. આગળનું વાંચતા પહેલા ત્રણ મીનીટનો પ્રયોગ કરી જુઓ. બ્લેન્ક પેપર લઈ.. અરે કોમ્પ્યુટરમાં વર્ડ  ખોલીને તેમાં જ ટાઈપ કરી નાખો –

‘Why I am here’

………………..

………………….

મોટા ભાગના લોકોએ પોતાની હાલની જે ‘સ્થિતિ’ છે તેનાથી ‘થોડીક વધારે સારી સ્થિતિ’ મેળવવાની વાત લખી હશે. પેલું ગધેડાને આગળ ધપાવવાના મોટીવેશન માટે લટકાવેલા ગાજર જેવું !

donkeyandthecarrot_blogres_960

થોડુંક વધારે માટે આપણે સતત પ્રયત્નશીલ રહીએ છીએ, અને રહેવું જ જોઈએ. જીવન જીવવા માટે કોઈ અવલંબનની  જરુર છે. નોકરીયાત પ્રમોશન માટે, ધંધાદારી વધારે નફો મેળવવા, રીટાયર્ડ બુઢ્ઢાઓ પૌત્રો-પૌત્રીઓને ઠેકાણે પાડવાની આશામાં (એ પાછળનો ‘મેં કાંઈક કર્યુ’ નો અહમ સંતોષવા) તકલીફો ભોગવતા ભોગવતા પણ જીવ્યે જાય છે. (પાછા વહેમ તો એવો રાખે કે પ્રભુના હાથમાં છે બધુ ! ભઈલા અઠવાડીયું ખાવાનું બંધ કરી દે ને ! પ્રભુ લઈ જ જશે ! નકામો વસ્તીવધારાનાં આંકડાઓમાં વધારો કરશ !) અરે ! ઋષિમુનિઓ પણ જીવન જીવવા માટે  ‘મોક્ષ’ નું અવલંબન લેતા હતા.

ટુંકમાં જીવન જીવવા માટે ‘અવલંબન’ની જરુર છે.

હોવું જ જોઈએ !

મારી પાસે જે છે તેના કરતા થોડુંક વધારે હોવું એ વિચાર મને પ્રવૃતિશીલ રાખે છે.

જગત જો ગતિશીલ લાગતું હોય તો આ ફક્ત ‘થોડુંક વધારે’ ના વિચારને કારણે જ.

carrot

જીવનમાં તક્લીફો વધી હોય તો એ ‘થોડુંક’ ની જગ્યાએ ‘ખુબ વધારે’ના કારણે વધી છે. સીડી ચડવી હોય તો એક એક પગથીયું જ ચડી શકાય. વધારે જોર કરો તો ટાંટીયો ચોક્ક્સ ભાંગે.

ચોખ્ખી વાત –

આ આખી વાર્તા સામાન્યજનને લાગુ પડે છે, કંઈક ‘નવું કરવા’ની ભાવનાવાળાને નહી !

(ઉપરના બંને ચિત્રો નીચેની વેબ સાઈટ પરથી સાભાર લીધા છે.

http://nationallearning.com.au/bob-selden-163/

http://www.crossingworld.com/

મોટીવેશન વિષયમાં રસ ધરાવનારે આ સાઈટ વીઝીટ કરવા જેવી ખરી)

‘અવલંબન’ શબ્દ લખ્યો છે પણ ખરેખર ‘કારણભૂત’ (cause) વધારે યોગ્ય હશે. જે હોય તે, રોટલો ખાઓને ટપાકાનું શું કામ !