પ્રેમ સંદેશ –

પ્રભુ આપણા સૌ પર તેની કરુણા અને પ્રેમ સદા વરસાવતો રહે એવી પ્રર્થના…

આવી સદાની પ્રાર્થના વેલેન્ટાઈન દિને પણ.

પણ …. પણ…

ગુલાબનો પુષ્પગુચ્છ રુપિયા બસો !

સાંભળીને પ્રભુના કરુણાના પાત્રો જાણે બદલાય ગયા.

ફુટપાથ પર રહેતા કુટુંબનો એક દિવસનો ખર્ચ, પેટભરીને ખાવાનું મળ્યાનો સંતોષ – ફક્ત પ્રેમ(?)ના પ્રદર્શન માટે વપરાય. દિલમાં ચચરે એ સ્વભાવિક છે.

આ વેલેન્ટાઈનના મુળ ક્યાં હશે ? પ્રેમનું પ્રદર્શન કરતા, દેખાદેખી કરતા યુવાનોએ આ જાણાવાનો પ્રયત્ન કર્યો હશે ? એમ સ્વભાવીક પ્રશ્ન થાય. વેલેન્ટાઈનના મુળ માટેના જવાબો પણ આશ્ચર્યજનક મળે છે –

કેથોલીક ચર્ચવાળા માને છે ઓછામાં ઓછા ત્રણ વેલેન્ટીન નામના શહીદો મળે છે જેઓની યાદમાં આ દિવસ ઉજવાય છે. એક દંતકથા તો તેને રોમનકાળ સાથે સાંકળે છે. ક્લોડીયસ નામના રોમન શહેનશાહનું માનવું એવું હ્તું કે જો કુટુંબ ન હોય તો સારા સિપાહી બને (કુંટુંબ તરફની લાગણી તેમને નબળા બનાવે) આથી તેણે લગ્ન કરવા પર પ્રતિબંધ મુકી દીધો. વેલેન્ટાઈન નામના એક પાદરીએ તેનું ઉલ્લંઘન કરી ખાનગીમાં એક લગ્ન કરાવ્યા, આથી શહેનશાહે તેનો શિરછેચ્દ કરાવ્યો, તેની સ્મૃતિમાં આ દિવસ મનાવાય છે. એક કથામાં કહેવાયું છે કે વેલેન્ટાઈને ક્રીશ્ચીયન કેદીઓને રોમન જેલમાંથી ભાગવામાં મદદ કરી તેથી તેને મારી નાખવામાં આવ્યા. એક કથા તો કેદી વેલેન્ટાઈન અને જેલરની પુત્રીની પ્રેમ કથા રુપે પણ પ્રચલીત છે. વેલેન્ટાઈને પ્રેમીકાને એક ગ્રીટીંગ મોકલ્યું અને તેમાં અંતે લખ્યું હતુ – From your Valetine – બસ ત્યારથી આ દિવસ ઉજવાય છે. એક કથા એવી પણ છે કે એક  Lupercalia નામના રોમન તહેવારને ક્રીશ્ચીયન સ્વરુપ આપવા વેલેન્ટાઈન ડે શરુ થયો. મધ્ય યુગમાં યુરોપમાં વેલેન્ટીન નામના એક સંત પણ થઈ ગયા. એક વૈજ્ઞાનિક કારણ પણ નજરે ચડે છે – યુરોપમાં પક્ષીઓના મેટીંગનો સમય મધ્ય ફેબ્રુઆરીથી શરુ થાય છે.

આ બધી દંતકથાઓમાં, પ્રેમ પ્રદર્શિત કરવાની વાતનું મહત્વ ક્યાં અને કેટલું આવ્યું ?

cupid-god-2

 

(વેલેન્ટાઈન ડે નું એક પ્રતિક આપણા ‘કામદેવ’ના પ્રતિકને મળતું લાગે છે ને ?)

ભારતીય સંસ્કૃત્તિમાં તો પ્રેમના પ્રદર્શન કરતાં સમર્પણનું મહત્વ વધારે છે. છતાંય આ જ સંસ્કૃતિના કેટલાક જીવંત પાત્રોના પ્રેમના તોફાનો, ટીખળો અને સાહસો પણ જોવા મળે છે.

આપણે એવું ન કરી શકીએ કે આપણો પોતાનો ‘પ્રેમ દિવસ’ નક્કી કરી ઉજવીએ ?

આવો દિવસ નક્કી કરવા કેટલાય પ્રસંગો ઇતિહાસમાં હાજર છે.

પ્રેમના પ્રતિક એવા શ્રી કૃષ્ણને ભગવાન બનાવી તેના પ્રેમના પ્રદર્શનોને ‘ભક્તિ’માં ફેરવી નાખ્યા. મીરાં જેવી પ્રેમમાં પાગલ નારીને, તેણીના પાગલપનને કૃષ્ણભક્તિમાં વ્યક્ત કરી. તેના પ્રેમગીતોને ભક્તિગીતોના નામ આપી દીધા. એ જ કૃષ્ણ જેણે નદીઓમાં સ્નાન કરતી ગોપીઓની રોમાંચક છેડછાડ કરી, ‘રુકમણી’નું અપહરણ કરી લગ્ન કર્યા, પરાક્રમ કરી ‘સત્યભામા’ મેળવી. આ બધાથી વધારે રોમેન્ટીક, ‘રાધા’ સાથેનો પ્રેમ. કૃષ્ણ અઠ્ઠાવીસ વર્ષની ઉંમર સુધી મથુરા/વૃંદાવનમાં હતા. આ દરમ્યાન રાધા સાથેનો પ્રેમ અને સુરદાસજી અનુસાર તેણીની સાથે ગાંધર્વ વિવાહ એ બધા પ્રસંગો આપણી સંસ્કૃતીના પ્રેમ પ્રદર્શનના ન કહેવાય ? (આપણા ઇતિહાસકારો તો ‘રાધા’ના અસ્તિત્વ પર પણ સવાલો ઉઠાવે છે.)

શ્રીકૃષ્ણનું ભગવાનપણુ, અવતારપણુ, ભક્તિ, ગીતાજ્ઞાન વગેરે બધું જ ભુલી જઈને, યુવાનો, શ્રીકૃષ્ણના જીવનમાંથી એક આવો જ એક સુંદર દિવસ પસંદ કરી તેને ‘પ્રેમ દિવસ’ (વેલેન્ટાઈન ડે) તરીકે ઉજવે તો કેમ ?

જ્ઞાનપિપાસુઓને ટુંકમાં વાંચવું હોય તો બે લિન્ક નીચે મુજબ –

http://dailyjournalonline.com/news/local/the-origins-of-valentine-s-day/article_35b81352-94b5-11e3-9792-0019bb2963f4.html

http://ancienthistory.about.com/od/socialcustomsdailylife/a/010908Lupercal.htm

સંવેદનાની સાથે…..

જીવન જીવીએ …

સંવેદનાઓને સથવારે….

આ  છે એક નવા બ્લોગનું સરનામું………..

જીવનમુલ્યોને સમજવા ‘સંબંધોના સથવારે’ મુસાફરી કરતાં કરતાં એવું લાગ્યું કે મનુષ્યને મનને ‘સમજવા’માં લગાવવા પડતા ‘તર્ક’ થી ‘મન/બુધ્ધી’ને તો આનંદ આવે છે, સમજણ સ્વીકારવાથી જીવન સરળ પણ બને છે.

પણ…

હૃદય તરસ્યું રહે છે. કેટલાક મિત્રોના કવિતાઓના બ્લોગ, વાર્તાઓના બ્લોગની મુલાકાત લેતી વખતે ….. કોઈ કોઈ સંવેદના જગાવનારી કૃતિ વાંચતા વાંચતા આંખો ભીની થઈ જાય છે, હૃદય ભરાય જાય છે અને મોટામાં મોટો ફાયદો શરીરના સંવેદનાની જાણકારી આપનારા અંગો, તે ક્ષણ પુરતું પોતાનું રોજીદું કાર્ય પણ ભુલી જાય છે, વિચારશુન્યતા આવી જાય છે. આવી ક્ષણ શાસ્ત્રોમાં લખેલી ‘સમાધી’ ની ક્ષણ જ હશે  ને ?

ધ્યાન પધ્ધતિ દ્વારા તો આવી ક્ષણો મળી શકતી હશે પણ, લાં….બા સમય સુધીનું આવું વાંચન, હૃદયને ભરેલું રાખે તો તો… સમાધી જ લાગી જાય ને ! (અહી પાછો ‘તર્ક’ આવ્યો.)

આ જ મુદ્દો નવા બ્લોગની રચનાનું કારણ બન્યો.

વધારે અગત્યનું એ છે કે એ બ્લોગ મિત્રોની મદદથી જ જીવંત રહેવાનો છે.

ફેઈસબુક પર આવતા કેટલાક પોસ્ટરો ખુબ હૃદય સ્પર્શી હોય છે, આવા પોસ્ટર્સ મુકવાનો ઇરાદો છે, કેટલીક ટુંકી વાર્તાઓ, કવિતાઓ, વીડીયો, મ્યુઝીક ફાઈલ્સ અને એવું બધું…. જ …. જે હૃદયને ઝંઝોળી નાખે. થોડીક મુશ્કેલી એ છે કે ફેઈસબુકનો અનુભવ નથી. મફતીયું ખાતું તો ખોલ્યું છે, http://www.facebook.com/jitu48

પણ ‘ઓપરેશન’માં મુશ્કેલી. પણ એ તો મિત્રોની સહાયથી શીખી જવાશે.

બ્લોગના સાજ-શણગાર તો કરવા છે પણ આજે તો ‘રીડ ગુજરાતી’ની એક ઇ-બુક “તારે જમીન પર” (ભાગ ૪) માંથી વાંચેલી અને પ્રેમની પરાકાષ્ઠા દર્શાવતી કૃતિને રાહ જોવડાવવાનું ન ગમ્યું અને રજુ કરી જ દીધી.

તો થોડો વધુ સમય ફાળવી વીઝીટ કરી જ લો અને આંખો ભીની થઈ કે નહી તેનો એકરાર પણ કરી લો… –

સંવેદનાની સાથે …

તમારો પ્રતિભાવ કહેશે કે યોગ્ય થયું કે નહીં ?

વધુમાં બીજા સમાચાર પણ છે …

મિત્રો, ઊપર હેડરના  ‘મેનુ’ માં ઉમેરાયેલું નવું ‘પેઈજ’ જોવાનું ચુકી ગયા – “મારા મિત્રો…”

ત્યાં પ્રતિભાવ તો ખરા, પણ સુધારાય સુચવવાના છે.

 

તમે કોને ફોલો કરો …..

“તમે કોને ફોલો કરો છો ?”

post_file

સુરતના એક મિત્ર સાથે ચર્ચાઓમાં તેમના તરફથી એક સવાલ ફેંકાયો.

“કોઈને નહીં.”

“આઈ મીન, તમારા વિચારો પર કોની અસર વધારે ?”.

ફરીથી મારો જવાબ – “કોઈની નહીં”

જોયું ! વાચકને આ જવાબમાં મારા ‘અહમ’નું દર્શન થયું ! પણ ગેરસમજ ન કરતા, હું તો જે સમજ્યો છું, તે કહેવાનો પ્રયત્ન કરું છું.

પછી, મેં મારા જવાબની વધુ સ્પષ્ટતા કરી.

નાનપણમાં વાંચનનો શોખ અને કુતુહલવૃત્તિ વધારે એથી વાંચવાનું પણ થયું અને ભટકવાનું પણ થયું.

‘ભગવાન’ની પહેલી વ્યાખ્યા મને વિશિષ્ટ કેશકલાપવાળા શ્રી સત્ય સાંઈ પાસેથી મળી, કોલેજકાળની શરુઆતમાં.

જામનગરમાં આપેલા એક પ્રવચનમાં ઇશ્વર વિષે સમજાવતાં તેમણે કહેલું –

“આપણા શરીરો વીજળીના બલ્બ સમાન છે, એમાંથી ચેતનારુપી વીજપ્રવાહ વહે છે, જો શરીરમાંથી ચેતનાનો પ્રવાહ બંધ થાય તો બલ્બ બુઝાઈ જાય. વીજપ્રવાહ એક જ છે,  બધા બલ્બ, આ પ્રવાહથી એકબીજા સાથે જોડાયેલા છે.”

અ વાક્ય મગજમાં નોંધાય ગયું. તેઓ તેલુગુમાં બોલતા હતા અન્ય કોઈ તેનું ટ્રાન્સલેશન કરતા હતા. સારું વાક્ય ! વધુ સાંભળવા જેવા (ફોલો કરવા જેવા..) ખરા ! લેક્ચરના અંતમા તેમણે ગુજરાતીમાં પણ સ્પીચ આપી. મારા મનમાં દલીલ ઉઠી – જો આટલું સારુ ગુજરાતી આવડે છે તો ગુજરાતીમાં સ્પીચ કેમ ન આપી. બસ ! જ્ઞાન સારું, પણ આવાને ફોલો કરાય ?

મગજમાં નોંધાયેલું વાક્ય બરાબર છે, એટલે સુધી સાચું અને આ વાક્ય પરથી મારું તારણ – ભગવાન એટલે શરીરમાં વહેતો ચેતનાનો પ્રવાહ અને પ્રવાહ એક જ છે, આથી ભગવાન પણ એક જ. આમ મારા ભગવાન – ‘ચેતના’ (વિજ્ઞાન સમજ્યા પછી વૈશ્વિક શક્તિ (Cosmic Energy).

હવે મંદીરે જઈએ તો પણ ‘ચેતના’ના પ્રતિક સ્વરુપ, જે મુર્તિ હોય તેને મસ્તક નમાવવાનું. પ્રતિક ગમે તે હોય શકે. કોઈ દલીલ નહી. મગજમાં કોઈ ખળભળાટ નહી. સાદી પ્રાર્થના – ‘સૌનું સારુ કરજે’.

એક વખત અમદાવાદમાં ‘ઓશો’ ને સાંભળવાનું થતાં એક વાક્ય મળ્યું – ‘જગતના વ્યવહારો પડઘા સમાન છે, જે તમે આપશો તે તમને પરત મળશે.’ બસ ! જીવનના વ્યવહારોની સમજણ કાયમ થઈ. તમે લોકો સાથે માથાકુટ કરો અને માથાકુટ મેળવો, પ્રેમથી રહો, પ્રેમ મેળવો. (તમારા પ્રેમના પડઘામાં પરત પ્રેમ ન આવતો હોય તો વ્યવહાર ફરી ચેક કરવો ઘટે કારણ કે તમે મોકલાવેલો ‘પ્રેમ’ ભેળસેળ ભરેલો હોય શકે. વિજ્ઞાનની ભાષામાં તમે મોકલાવેલી ‘Frequency’, ‘Noise’ વાળી હોય શકે.) ઓશોની તર્કબધ્ધ રજુઆત, શરુઆતમાં સ્વીકાર્ય થઈ જાય પણ આ જ વિચારનું ફરી મંથન કરીએ તો કદાચ અસ્વીકાર્ય પણ બની જાય.

આવું તો ઘણા બધી વિભુતિઓ સાથે થયું. વિપશ્યના વખતે શ્રી ગોએન્કાજીએ સમજાવ્યું ‘શરીર નક્કર છે જ નહીં, ફક્ત સતત બદલાતા રહેતા તરંગો જ છે.’ સ્વીકાર્ય. પણ તેમની પુનઃજન્મની વાત અસ્વીકાર્ય.

મને તો એવું લાગે છે કે ‘ઘણી વિભુતિઓ પાસેથી માટી એકત્ર કરી આપણે આપણો ‘પિંડ’ બનાવવો.’

(સાવ સાદી ભાષામાં આપણા મનનું ઘડતર આપણે જ કરવું)

નુકસાન ?……..

કોઈને ‘ફોલો’ કરવું સરળ છે. તમે એક ‘પંથ’માં સુરક્ષીત બની જાઓ, તમારો અલગ સમાજ બની જાય, તમે એમના ગુરુને ફોલો કરો છો, એ જાણે … તો, તો, તે તમને પ્રેમ કરવા માંડે, સગવડતાઓ પુરી પાડવા લાગે, તમને સરળ બની જાય, અજાણ્યા ગામમાં તમારા ‘પંથ’ના મંદીર-આશ્રમમાં જાઓ, સુખસગવડતા મળી જાય. નિતિ-નિયમો પણ સ્થાપિત હોય, આથી કોઈ કાર્ય કરવા માટે મગજને કોઈ તકલીફ નહીં.. નિયમ મુજબ કર્યે રાખો.

આપણો ‘પિંડ’ બનાવવામાં નુકસાન વધારે છે.

સૌ પ્રથમ તો ‘માટી’ની પસંદગી. કોઈ ખોટી કે ખરાબ માટી સ્વીકારાય જાય તો આપણી ‘મુરત’માં ખામી રહી જાય.

હવે આ સારી-ખરાબ માટીની ખબર કેમ પડે ?

claymaker

તકલીફ તો છે પણ પેલા કુંભારની જેમ માટીને ગુંદતા રહેવું પડે, તો ચીકાશ વધતી જાય, નવા વિચારને વાગોળતા રહેવું પડે, નવા વિચારની પૃષ્ઠિ મળી શકે તેવું નવું વાંચવાનું થાય, નવી નવી વ્યક્તિઓની સાથે ચર્ચા પણ કરવી પડે, (સાદી ‘ટીપ’ – સાંભળો સૌનું, વિચારો પોતાનું.)

આ કાર્ય સમય માગી લે તેવું છે, આવું કરવામાં શક્ય છે સમયના અભાવે અન્ય કેટલુંક જતું કરવું પડે, કદાચ આરામની પળો, મનોરંજન…..

એક સહેલો રસ્તો છે ! કુદરતની નજીક જાઓ ! મહીનાનો એક રવિવાર સંપુર્ણ અંગત. ન કામ, ન કાજ, બસ નીકળી પડો. ટીવી નહીં જોવાય, મિત્રો નહી મળે, સંબંધો નહીં સચવાય, ખવાપીવામાં તકલીફ ભોગવવી પડશે,…. બધુ જ થશે. ધીમે ધીમે બધુ જ સમુસુતરુ થશે

પ્રયોગ કરી જુઓ.

Start each day like it’s your birthday –

હમણા હમણા બ્લોગ રીડરમાં મિત્રોના જન્મદિવસોની ઉજવળીની આનંદની લહેરો ચાલી.

નાનપણમાં જન્મદિવસે વડીલોના આશિર્વાદ લેવાનું શીખવવામાં આવ્યું હતું. આશિર્વાદની તો સમજણ ન હોય, પણ વાંકાં વળી વડીલોને પગે લાગતા, કંઈક મળવાની અપેક્ષાએ જ તો ! મનમાં થોડાક મોટા થયાનો આનંદ હોય કારણ કે ‘પાવર’ માં વધારો થતો હોય, કોઈ કાર્ય કરવાની ઇચ્છા હોય, પણ તેમાં ‘તું હજી નાનો છે’ એમ કહી બ્રેક લાગતી, હવે તે થઈ શકશે – ‘હવે હું મોટો છું, મને ના કેમ પાડો’.

(માબાપ ‘નાનો’ છો કહી ‘હક’ કાપવાની વાત કરે છે પણ, ‘કાંઈ થાય તો તારી જવાબદારી તારી’ એવું પણ કહેતા હોય અને કાર્યના પરિણામો પણ ભોગવવા દે તો કદાચ ‘હક્ક’ અને ‘જવાબદારી’ બંનેની સમજણ બાળક નાનપણથી જ કેળવતું જાય. મોટા થતા જવાબદારીમાંથી છટકવાના પ્રશ્નો ઓછા થાય.)

હું ઘણીવાર એવું પણ વિચારું કે જન્મદિવસને દિવસે તો શોક મનાવવો જોઈએ. કારણ કે આ સુંદર જગતમાં રહેવાનું એક વર્ષ ઓછું થયું. પણ આનંદ થાય છે કારણ કે એવું પણ થાયને કે ‘ચાલો, આ ‘ઝંઝાળ’માં રહેવાનું એક વર્ષ ઓછું થયું.’

Start each day like it’s your birthday

ગઈકાલે એક કેલેન્ડર પર આ વાક્ય વાંચ્યું. ડોઢા થઈને મને આ વાક્યમાં સુધારો કરવાની ઇચ્છા પણ થઈ –

‘Start each day like it’s your first birthday’

B_day

બસ આનંદ જ આનંદ ! માના ખોળામાં પડ્યા પડ્યા માનો હુફાળો હાથ અનુભવવાનો, અન્ય લોકોની પ્રેમાળ ગોદમાં આળોટવાનું, કલરફુલ કપડા પહેરવાના, નવા નવા રંગો દેખાય, નવાનવા ચહેરા દેખાય, નવી ઓળખાણ થાય. કોઈ ન ગમે તો તરત રોઈને વિરોધ પ્રદર્શિત કરી દેવાનો, ક્રીસ્ટલ જેવું પારદર્શક મન, આનંદ, સુખ-દુઃખ, ગમો-અણગમો તરત વ્યક્ત, સામેની વ્યક્તિ શું વિચારશે એની ચિંતા જ નહીં, કોઈ પુર્વગ્રહ નહી. અપેક્ષા નહી. આનંદ હી આનંદ….

આપણી રોજની સવાર પ્રથમ જન્મદિવસની હોય તો ?

ભુતકાળના કોઈ લેખાજોખાં જ નહી. સારું-ખરાબની માથાકુટ જ નહીં. પુર્વગ્રહો, માન્યતાઓ, સિધ્ધાંતોની કોઈ તકરાર નહીં. અને પ્રથમ જન્મદિવસે આપણું ભવિષ્ય ‘મા’ના હાથમાં તેમ આજે ‘કુદરત’ના હાથમાં મુકી દઈએ તો કેવું ?

પાર્ટી આપવાની વાત નહી પણ લેવાની જ વાત.

આજે તો પાર્ટી આપવાની, કોણ આવ્યું કોણ ન આવ્યું, કોણે ગીફ્ટ આપી, કેટલી આપી, જમણની ડીશનો ખર્ચ કેટલો થયો એવી ગણત્રીઓ, એટલું જ નહી પણ ચાલુ પાર્ટીએ જ ‘મુખવટો’ પહેરી આનંદ લેતા લોકોના લેખાજોખાં લેતા લેતા આવતા વર્ષની પાર્ટીનું, સંબંધોનું પણ આયોજન થાય.

આજે લખવાનો વિચાર તો ‘first birthday’ ના આનંદ પર હતો પણ સાહિત્ય સાથે બારમો ચંદ્રમા, આથી વાસ્તવિક જીવનના તર્કમાં મન ગુંચવાયેલું રહ્યું.

કદાચ આ ‘તાર્કીક’ જીવન જ આપણને ‘સાત્વિક’ જીવનથી દુર રાખે છે.

કોઈ સાહિત્યિક મિત્ર ‘હેપી બર્થડે’ નો આનંદ હી આનંદ લખે તો સારું ….

સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

તારીખ ૩ ની પોસ્ટની હીમશીલા મિત્રોને ભારી પડી હોય તેમ લાગે છે. પ્રતિભાવો તેમાં દબાય ગયેલા લાગે છે. કન્સેપ્ટ નવો છે, પચવામાં ભારે હશે, પણ ખુબ કામનો છે. જો સમજી શકાય તો સંબંધો આવતી કડવાશ, રુકાવટ, અવગણના વગેરે બાબતો સમજી શકાશે.

ઘણી વખત આપણે બે વ્યક્તિ વચ્ચેની સુક્ષ્મ વર્તણુકના વહેવારોને જોઈ શકતા નથી અથવા ધ્યાન આપતા નથી એથી ઘણું ગુમાવીએ છીએ. સંબંધમાં રહેલા તાણાવાણાની મજબુતાઈ ગુમાવીએ છીએ, અંતે ‘સંબંધમાં મજા નથી’ એવું માની લઈ સંબંધ ગુમાવીએ છીએ.

સાદુ ઉદાહરણ સમજીએ.

father-daughter holding hands

આજે મોર્નીંગવોક પર ગયો ત્યારે વર્ષો પહેલાનો એક પ્રસંગ યાદ આવી ગયો. દસેક વર્ષ પહેલાં ગાંધીનગરમાં મોર્નીંગ વોકમાં મારી નાની દીકરી સાથે હતી. વાતો કરતા કરતા અમે રોડની સાઈડમાં ચાલતા હતા. થોડી વારે બાજુમાંથી એક બસ પસાર થઈ. હું રોડ સાઈડ હતો, પુત્રી ફુટપાથ તરફ હતી. તેણે ચાલતા ચલાતા સાઈડ બદલી, હવે તે રોડ સાઈડ આવી ગઈ. ચાલતા ચાલતા ફરી વાતોમાં ખોવાય ગયા. ક્યારે સાઈડ બદલાઈ ગઈ તેનું અમને ધ્યાન ન રહ્યું. અચાનક તેણે ફરી સાઈડ બદલી. આ ચેન્જ મારા ધ્યાનમાં આવ્યો, મેં તુરંત પુછ્યું , ‘કેમ ?’

‘કંઈ નહીં’ કહી તેણે વાત ટાળી, મારી સમજણમાં તો આવી ગયુ હતું,

છતાંપણ મેં જાણવા આગ્રહ રાખ્યો ત્યારે કહ્યું –

‘આ સાઈડમાંથી વાહનો પસાર થાય છે ને એટલે.’

બસ ! હું મુંગો થઈ ગયો. મન, પુત્રીના પ્રેમને સમજવામાં ખોવાય ગયું. પિતાને પ્રોટેકશન મળે એવી માનસિક ગણત્રીએ તેણે સાઈડ બદલી. આ તેના પિતૃપ્રેમની સુક્ષ્મ અભિવ્યક્તિ ગણાય. મારા મનમાં આની નોંધ થવી જ જોઈએ, જે પિતા-પુત્રીના પ્રેમના તાણાવાણાને મજબુત કરે.

અન્ય સાથે થતા વહેવારોની આપણી કે સામેવાળાની વર્તણુંકનું સુક્ષ્મ અવલોકન થાય ત્યારે સંબંધોની આવી સુક્ષ્મતા ઉજાગર થાય છે.

તમેય એકાદ દિવસ આવા સુક્ષ્મ વહેવારોની નોંધ કરવાનું નક્કી કરો. કદાચ સંબંધના અવ્યક્ત પાસાઓ ઉજાગર થશે.

(ફોટો – http://www.tracyscamp.com/AboutUs/FatherDaughter/tabid/99/Default.aspx – સાભાર)

રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ –

ગત વર્ષે આ લખ્યું ત્યારે કેટલાક મિત્રોના તીખા પ્રતિભાવ પણ આવેલા – આ બધી વાતો છે, અપેક્ષા વગર જીવન શક્ય જ નથી, સંબંધો જાળવવા જેટલો ટાઈમ જ ક્યાં છે, કોકનું ભલુ કરીએ તો ય સંબંધો કાપી નાખે છે, લોકો સ્વાર્થી છે……

આ બધુંય સ્વીકાર્ય ! જીવવાની તૃષ્ણા છે તો જ જીવન પણ છે. મારે તો વાત અસ્ત થતા સંબંધોથી મનમાં કડવાશ ઉભી ન થાય એ માટેની છે. કોકનું ભલુ કરતી વખતે પણ મનમાં તો, કોઈક રીતે મારો આભાર માને તેવી ‘અપેક્ષા’ હતી કે નહી ? નેકી કર ઔર દરીયામે ડાલ જેવું તો ન હતું ને ! હું પોસ્ટ લખું ત્યારે કોક વાંચે અને કંઈક ‘સુષ્ઠુ સુષ્ઠુ’ લખી પ્રતિભાવ આપે એવી અપેક્ષા નહી ? તમે કંઈ ન લખ્યું તો દીલ નહી દુખ્યું હોય ? અપેક્ષાઓ નામશેષ નહીં જ થાય અને એના પર રચાયેલા સંબંધો પણ અસ્તિત્વમાં રહેશે જ. વાત ખાલી આવા સંબંધોની સાથે લાગણી તાર ‘ન’ બાંધવાની છે. તાર જ ન હોય તુટવાની વાત ન આવે અને કશું તુટે નહી તો હૃદયમાં પણ કોઈ અનિચ્છનિય ઝણઝણાટી ન થાય.

આજે હવે જ શુષ્ક સંબંધોમાં આવતી ભીનાશને યાદ કરી લઈએ !

આંખ બંધ કરી, તમને કોઈએ આપેલી ‘જાદુની ઝપ્પી’ને યાદ કરો, એ સમયે હૃદયનો કોઈ ખુણો ભીનો થઈ ગયો હશે અને એ ભીનાશ આંખમાં રેલાઈને ટપકી પડી હશે, ગળામાં શ્વાસ રુંધાય ગયો હશે, જગત અને જીવનનું અસ્તિત્વ જ ઓગળી ગયું હશે. પણ આવું આલિંગન ક્યારેક અને કોઈકે જ આપેલું હોય. (બાકી તો પ્રસંગોમાં તો મુખવટો પહેરી સૌની સાથે ‘ભટકાતા’ જ હોઈ છીએને ! J ) એમાં કોઈ લેતીદેતીનો ‘વ્યવહાર’ નથી. બંને પક્ષોએ બસ આપવનું જ હોય છે. આ આલિંગન એ પ્રેમસંબંધની ઝલક માત્ર છે. નાના બાળકના માથા પર ફરતો માનો પ્રેમાળ હાથ, બાળક માટે આનંદનું નિમિત્ત બને છે. કેડબરીની ‘મીઠાશ’ની અપેક્ષા  વગર બહેનના હાથે ભાઈને બંધાતી રાખડી પ્રેમસંબંધનું પ્રતિક છે. પ્રશ્નોથી થાકી હારીને બેઠા હોઈએ ત્યારે ખભા પર મુકાયેલ મિત્રનો હાથ એ પ્રેમસંબંધની અનુભુતિ છે. આવા તો કેટલાય પ્રસંગોમાં અનુભવાતો પ્રેમ સંબંધ માનવીને જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. ઘણી વખત તો આ બળ મેળવવા આપણે શાહમૃગવૃત્તિ અપનાવી શુષ્ક સંબંધોની રેતીમાં માથું છુપાવી પ્રેમસંબંધની ભ્રાંતિમાં જીવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. અંતે તો નિરાશા સંપડે છે.

શું આપણા સંબંધો અપેક્ષા કે જરુરીયાત આધારિત જ હોય છે ? એની ચકાસણી માટે એક પ્રયત્ન કરી શકાય. આપણા સંબંધની ફ્લેશબેકમાં જઈ એક એક પ્રસંગની ફરીથી અનુભુતિ કરવી પડે અને આ અસંખ્ય ક્ષણોમાંથી કેટલીક ક્ષણો માટે આપણા હૃદયનો ખુણો ભીંજાયો હોય, એ ક્ષણો પ્રેમસંબંધની ક્ષણો જ છે, ક્યારેક એવું કશુ બનતુ નથી તો એ ક્ષણો જરુરીયાતના સંબંધની છે. આમ ઘઊંમાં કાંકરાની જેમ સંબંધોની ભેળસેળ છે.

વ્યવસાયિક સંબંધો સિવાયના સંબંધોમાં પ્રેમની અને જરુરીયાતોની ભેળસેળ હોય જ છે. સંબંધોમાં આવતી પ્રેમની ક્ષણો કેમેરાની ફ્લેશની જેમ શુષ્ક જીવનના અંધારામાં પ્રકાશ પાથરી ઓગળી જાય છે. આપણે સૌ ઇચ્છીએ છીએ કે જીવનના સંબંધોમાં પ્રેમનો પ્રકાશ ફેલાય, પણ ક્ષુલ્લક જરુરીયાતોના સંબંધોમાં જીવનભર અટવાયા કરીએ છીએ.

આમાં વાંક આપણો જ છે ? સાવ એમ પણ કહી શકાય એમ નથી કારણ કે જીવવા માટેની મજબુરીમાં પણ જરુરીયાતોના સંબંધોમાં તણાવું પડે છે. હા, પણ એટલું ચોક્કસ કહી શકાય કે આવા સંબંધોમાં લક્ષ્મણરેખાની જેમ મર્યાદારેખા બાંધી શકીએ જેથી આવા સંબંધો જરુરીયાતો સંતોષાવાની સાથે અસ્ત પામે તો દુઃખ ન થાય.

વર્તમાનયુગમાં જરુરીયાતને જ પ્રેમનો પર્યાય બનાવી દીધો છે – “નહીં માલુમ હસરત હે યા તુ મેરી મુહબ્બત હે, બસ ઇતના જાનતા હું કે મુજકો તેરી જરુરત હે” સામે પક્ષે એક જુનુ ગીત યાદ આવે છે – ‘સિર્ફ અહસાસ હે યે રુહસે મહસુસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો’ સવાલ આપણી રુહનો છે. ક્યાંય ખોવાય ગઈ છે ? ના ! ક્યાંય ખોવાય નથી ગઈ, ફક્ત તેના પર ઇચ્છા-અપેક્ષાઓના ‘પડ’ ચડી ગયા છે. તમે ક્યારેય ડુંગળીનો મધ્ય ભાગ એકલો ખાધો છે ? ખાઈ જુઓ, સાકર જેવો લાગશે પણ તેના પર તીખાશના પડ ચડી ગયા છે, ન ગમતી વાસ ફેલાવે છે.

Red-Onions

આપણા સાકર જેવા આત્મા પર અપેક્ષાઓના તીખા પડ ચડી ગયા છે અને ન ગમતી જીંદગી જીવવી પડે છે. ‘આત્મા’ શબ્દ વાંચીને ઘણાને આ વાત ઉપદેશાત્મક લાગવા માંડશે પણ આપણે આત્મા-પરમાત્માની વાત કરવી નથી કારણ કે જીવનસંધ્યાએ તમે દોડી દોડીને થાકી ગયા હશો ત્યારે હાશકારો મેળવવા તમે જ એ ઉપદેશો સાંભાળવા દોડી જશો. અત્યારે તો આપણે પ્રેમભર્યું જીવન જીવવા અને સંબંધોમાં પ્રેમ પાંગરતો જોવા ઈચ્છીએ છીએ. આવું જીવન જીવવાનો પ્રયત્ન તો કરી શકીએ ને ! કરવાનું ફક્ત એટલું કે ડુંગળીના ફોતરાઓને – અપેક્ષાઓને ઓળખવાની છે. જો એ જાણકારી મેળાવી લઈશું તો એના થકી બંધાતા સંબંધોને પણ ઓળખશું અને એવા સંબંધોની ભરતી-ઓટ કે અસ્ત વખતે કોઈ તકલીફ નહી થાય. કદાચ આનંદ ન થાય તો પણ ‘એ તો એમ જ હોય’ એવું સ્વીકારી દુઃખ તો નહી જ થાય.

અપેક્ષારહિત પ્રેમસંબંધોનો વિકાસ કરવા જેવો છે, પ્રયત્ન કરી જુઓ અને એ પ્રયત્ન પણ કરવાની ઇચ્છા ન થતી હોય તો જીંદગી આમ જ જીવાય એમ માનીને શુષ્ક જીવન પસાર કરવામાં પણ વાંધો નથી. ઇશ્વરે મોકલ્યા છે તો સમય તો પસાર કરીએ ! શું ક્યો છો?

પ્રભુ તમને યોગ્ય પ્રેરણા આપે !

સમય હોય તો પ્રેમને સમજવાની સાથે હૃદયને પણ ભીનું કરી લો –

(ફીલ્મ – ખામોશી ૧૯૬૯)

ખાલીપો –

હમણા થોડા દિવસ પહેલા યુકે થી દીકરી તેના પરિવાર સાથે આવી હતી. ઘર ભરેલુ ભરેલુ લગતું હતું. ચારે બાજુ તેના સામાનના મોટા મોટા બેગડા અને વધારામાં ભારતની ખરીદીના ખોખાં અને પ્લાસ્ટીકની થેલીઓ. નાનકડા ઘરમાં ચાલવા માટે જગ્યા કરવી પડતી હતી. મળવા આવનારાઓની વણઝાર, સમય ક્યાં જતો રહ્યો તેની જાણ જ ન થઈ. અઠવાડીયામાં ઘર ખાલી થઈ ગયું. બસ ‘હુતો-હુતી’ આ ખાલી ઘરમાં ‘ખાલીપો’ અનુભવતા રહી ગયા.

ભર્યું ભર્યું લાગતુ મન પણ હવે ખાલીપો અનુભવે છે.

what-is-critical-thinking

આખું ભરેલું હતું, હવે ખાલી લાગે છે. કશુંક ગુમાવ્યાનો અહેસાસ છે.

મનનો કોઈ ખુણો ખાલી થાય અને તેને પાછો ભરવા માટેની કોઈ લાગણી પણ ન થાય. એવું લાગે કે ખાલી કરનાર ત્યાં યાદોની અમીટ છાપ છોડીને ગયું. એ છાપ ભુસવાનો પ્રયત્ન કરવાની ઇચ્છા પણ ન થાય. ક્યારેક એ જ યાદો એકલતામાં મમળાવવામાં આનંદ આવે. એટલી ક્ષણો જીવંત બની જાય.

કોઈ સ્વજનના મૃત્યુ પછી પણ આવું થાય.

નોકરી કરનાર રીટાયર્ડ થાય ત્યારે પણ સહકર્મચારીઓની યાદો આવા ખુણામાં સચવાયેલી હોય.

જુનુ ઘર ખાલી કરો ત્યારે પણ એવું જ. (યાદ કરોને ‘જુનુ ઘર ખાલી કરતાં’ !)

પડોશીઓ, ગામ, શહેર ઓહો હો હો… કેટલું બધું !

મનમાં આ ખાલીપાને કારણે કોઈ ‘સ્પેશ’ તો થાય જ, પણ આ એવી સ્પેશ છે જ્યાં નવા વિચારોને સ્થાન નથી. ખાલી ખરું પણ યાદોથી ભરેલું. એવી સલાહ પણ મળે ‘જુનું ભુલી જવાનું’. હું સો ટકા સહમત નહી થાઊં, કારણ કે આ યાદો ઘણીવાર જીવવાની પ્રેરણા પુરી પાડે. વૈમનસ્યની યાદો ભુલી જવી પણ પ્રેમથી ગુજારેલી ક્ષણો તો કાયમ હૃદયમાં જડી રાખવી. એ તો જીવનનું બળ છે.

મન ખાલી છે પણ અધુરું નથી, યાદોથી ભરેલું છે.

તમે..ય.. મનનો ખાલી ખુણો ગોતી લીધોને…. !

ઉપરનું ચિત્ર ‘ફોર્બસ’ની સાઈટ પરથી સાભાર લીધું છે

http://www.forbes.com/sites/work-in-progress/2012/03/27/how-to-develop-5-critical-thinking-types/

“How to Develop 5 critical Thinking Types” લેખ વાંચવા જેવો ખરો !

નાસ્તિક –

 

કુંભમેળાની વિવિધ બ્લોગ પરની ચર્ચાઓ, ટીપ્પણીઓ વાંચ્યા પછી આસ્તિક-નાસ્તિકને સમજવા, મથામણ કરવાના અભરખા જાગ્યા. મગજ ખરેખર ઘુમરી ખાય જાય તેવો મુદ્દો છે. કેટલીક કોમેન્ટસમાં, પોતાને નાસ્તિક અને રેશનાલીસ્ટમાં ખપાવતા લોકો તરફથી માનવીય સંવેદનાઓનું જે રીતે હનન થયું છે તેવું તો ‘નાસ્તિક’ શબ્દના અર્થમાં કે ભાવાર્થમાં ક્યાંય જોવા મળ્યું નહી. એમાંય ‘rationalist’ શબ્દનું ગુજરાતી તો ‘સમજદાર, વિવેકી, સૂઝ ધરાવનાર’ વાંચવા મળ્યું, પણ આવા રેશનાલીસ્ટની કોમેન્ટમાં વિવેકશુન્યતા સિવાય કશુંય દ્રષ્ટિગોચર થતું નથી. કુંભમેળામાં થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલાઓને ‘મુર્ખ મૃતાત્મા’ ના વિશેષણથી નવાજવામાં આવ્યા. હશે ! હમણાં વેલેન્ટાઈન ડે ગયો છે તો તેઓને પણ પ્રકૃતિનો પ્રેમ પ્રાપ્ત થાય અને તેમનામાં માનવીય સંવેદનાઓ જાગૃત થાય એવી અભ્યર્થના.

ગુગલ સર્ચમાં ‘નાસ્તિક’ પર સર્ચ કરતાં કેટલીક બ્લોગ પોસ્ટ વાંચવા મળી. મહદ અંશે ‘નાસ્તિક’ની વ્યાખ્યા ‘ઇશ્વર’ પર કેન્દ્રિત થયેલી લાગી. છતાં ‘ઇશ્વર’ની વિરુધ્ધની દલીલોમાં વજુદ જોવું હોય અને માનવ મનની તાકાત જોવી હોય તો નાસ્તિકતા પર વીર ભગતસિંહના વિચારો વાંચવા જેવા ખરા ! ભગતસિંહને એક વૃધ્ધ કેદીએ ઇશ્વર અને ધર્મ પર વિચારવા ઇંજન આપ્યું. તેઓએ એક લેખ લખ્યો – ‘હું નાસ્તિક કેમ છું’

શરુઆત જ “એક નવો પ્રશ્ન ઉભો થયો છે. મારું, સર્વત્ર, સર્વવ્યાપ્ત ઈશ્વરના અસ્તિત્વમાં ન માનવું, તે મારા ઘમંડ અને મિથ્યાભિમાનના લીધે છે કે નહિ ?” (પાકા રેશનાલીસ્ટ ગણાય ને ! શરુઆત જ પોતાની જાતને સમજવાથી કરી !). વાંચો તેમના વિચારો –

“હું એક નાસ્તિક તરીકે, આસ્તિકોને અમુક પ્રશ્નો પૂછું છું :

જો, તમે એવું માનો છો કે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વોચ્ચ ઈશ્વરે પૃથ્વી કે બ્રહ્માંડનું સર્જન કર્યું, તો મહેરબાની કરીને સૌ પ્રથમ મને જણાવો કે, આ દુનિયાનું સર્જન જ કેમ થયું ? આ દુનિયા કે જે પીડા-વ્યથા અને તીવ્ર ગરીબીથી ભરેલી છે, જ્યાં એક પણ વ્યક્તિ શાંતિથી એક પળ જીવી શકતો નથી.

મને એમ નહિ કહેતા કે આ જ તેનો નિયમ છે. જો તે (ઇશ્વર) નિયમોથી બંધાયેલો હોય તો તે સર્વશક્તિમાન નથી.

જ્યાં ઈશ્વરની વ્યુત્પત્તિની વાત છે ત્યાં મારો વિચાર છે કે જ્યારે માનવીને પોતાની નબળાઈ, ખામીઓ અને મર્યાદા વિષે ભાન થયું ત્યારે માનવીએ ઈશ્વરનું સર્જન પોતાની કલ્પનાઓથી કર્યું છે.

મેં ઘણા નાસ્તિકો વિષે બધી જ મુસીબતનો સામનો નીડરતાથી કરતા હોવાનું વાંચ્યું છે, તો હું ય છેક છેલ્લે સુધી મસ્તક ઉન્નત રાખીને પુરુષાતનથી ઊભો રહીશ, વધસ્તંભ ઉપર પણ.”

આ તો તમને નમુના દેખાડ્યા. મૂળનો રસાસ્વાદ લેવા તમારે રુતુલ જોશીનો ‘ચરખો’ ચલાવવો પડે. (કારણ કે મને કટ-પેસ્ટનો કંટાળો છે.)

પણ ભગતસિંહના વિચારો ‘ઇશ્વર’ને કેન્દ્રમાં રાખીને લખાયા. ખરેખર શું નાસ્તિકતા-આસ્તિકતાના કેન્દ્રમાં ‘ઇશ્વર છે ? દિવ્યભાસ્કરનો એક લેખ કહે છે –

“હકીકતે નાસ્તિક અને આસ્તિક બંને શબ્દો આપણા વ્યવહાર, સ્વભાવ અને ચરિત્ર સાથે જોડાયેલ છે. આસ્તિક શબ્દ સંસ્કૃતના શબ્દ “અસ્તિ” થી બનેલો છે જેનો અર્થ છે “છે” એવી જ રીતે નાસ્તિક શબ્દ સંસ્કૃતના જ “નાસ્તિ”થી બનેલો છે જેનો અર્થ થાય છે “નહીં” આસ્તિકનો અર્થ આશાવાદી હોવું એવું થાય છે. જે દરેક વસ્તુમાં હકારાત્મક દ્રષ્ટિકોણ રાખે છે. જે એવું માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, મૂર્તિઓમાં નહીં પણ માણસોમાં પણ છે.”

જુઓ ! અહીં પણ ભગવાનનું અસ્તિત્વ સ્વીકાર્યું પણ જુદા સ્વરુપે. ધર્મ અને સંપ્રદાયો કહે છે તેમ ‘કણ કણમાં પ્રભુનો વાસ છે.’ ટુંકમાં ‘ઇશ્વર’ નું અસ્તિત્વ છે, પણ એ ભક્તો દ્વારા માનવામાં આવતા પ્રચલિત સ્વરુપમાં (મુર્તિ કે ધર્મોના સ્વરુપે) નહીં.

પં. શ્રીરામ શર્મા આચાર્ય આસ્તિકતાને સમજાવતા કહે છે – ‘માણસની સજ્જનતા અને આસ્તિકતા – બંને ૫ર્યાયવાચક શબ્દ છે. તે એક – બીજા સાથે ભળેલા છે. કહેવા-સાંભળવામાં તો અલગ લાગે છે કે આસ્તિકતા અલગ હોવી જોઈએ અને સજ્જનતા અલગ હોવી જોઈએ, ૫ણ વાસ્તવિકતા એવી નથી.’ એમનું કહેવું છે કે સજ્જન ભલે ઇશ્વરને ગાળો દેતો હોય, તો પણ તે આસ્તિક છે.

ભગવાનની ભેજાફોડીમાં આગળ વધતા શ્રી ગુંણવંતભાઈના બ્લોગ પર જઈ ચડ્યો. મન ઠરે એવું કાંઈક ત્યાંથી મળ્યું. (આમ પોતાના વિચારોને અનુરુપ કંઈક લખાયું હોય તો મન ઠરે જ ! લાગ્યું કે ગુણવંતભાઈ મારી લેનના …. સોરી… વડીલ છે આથી હું એમની લેનનો માણસ છું. ખાનગીમાં કહી દઊં ? રસ્તા પર જતી વખતે મને પણ લોકો ‘વડીલ’ કહે છે. છે ને માભો !) તેઓ લખે છે – ‘તકરારનો વિષય ઇશ્વર નથી. તકરારનો વિષય સત્ય છે. સત્યવાન નાસ્તિક આદરણીય છે. જૂઠો આસ્તિક કહેવાતા ઇશ્વરને બદનામ કરનારો છે. મૂળે વાત સત્યાચરણની છે.’

તેઓશ્રીએ આસ્તિક અને નાસ્તિકને ‘સત્ય’ના મધ્યબિંદુથી જોડી દીધા.

“આસ્તિક મહાત્મા ગાંધી કહે છે, ‘સત્ય એ જ પરમેશ્વર.’ નાસ્તિક નિત્શે કહે છે, ‘ભગવાનનું અવસાન થયું છે.’ નિત્શે કદી પણ એમ ન કહે, ‘સત્યનું અવસાન થયું છે.’ આસ્તિકતા અને નાસ્તિકતાનું મિલનસ્થાન સત્ય છે. સત્ય શાશ્વત છે, અનંત છે અને પરમ આદરણીય છે. એ પંથપ્રપંચથી પર છે.”

ગુણવંતભાઈએ ધર્મની વ્યાખ્યા કરતા કહ્યું –

“ધર્મ એટલે રિલજિયન એવું નથી. એક જ દાખલો પ્રસ્તુત છે. ટ્રાફિકના નિયમો આપણને ક્યા ધર્મ તરફથી મળ્યા છે? એ નિયમો ન પળાય તો મૃત્યુ રોકડું! એ નિયમો પાળીએ, તો નિયમો જ આપણું રક્ષણ કરે છે. આમ જગતમાં જળવાતો ‘ટ્રાફિકધર્મ’ મહંત, મુલ્લા અને પાદરીથી પર છે. તેથી કહ્યું, ‘રક્ષણ પામેલો ધર્મ જ આપણું રક્ષણ કરે છે.’ (ધર્મો રક્ષતિ રક્ષિત:)”

ધર્મની ચર્ચામાંથી તેઓ ‘શ્રધ્ધા’માં સરકી પડ્યા –

“શું કહેવાતો રેશનલિસ્ટ સાવ શ્રધ્ધાશુન્ય હોઇ શકે? એ બહારગામ જાય ત્યારે એને ‘શ્રધ્ધા’ હોય છે કે પોતાની પત્ની બીજા પુરુષ સાથે સૂતી નહીં હોય. આવી જ શ્રધ્ધા એને ખાસ મિત્રની વિશ્વસનીયતા અંગે પણ હોય છે. આવી અસંખ્ય શ્રધ્ધાઓ પર આ જગત નભેલું છે. નાસ્તિકને અશ્રધ્ધાળુ (નોન-બીલિવર) કહેવામાં વિવેક નથી. એને પાકી ‘શ્રધ્ધા’ હોય છે કે ઇશ્વર જેવું કશું જ નથી.

શું કહેવાતો શ્રધ્ધાળુ સાવ તર્કશૂન્ય હોઇ શકે ? એ વાતમાં દમ નથી. શ્રધ્ધાળુ ભક્તાણીને પણ ક્યારેક પોતાના પતિના ગોરખધંધાની ખબર હોય છે. કહેવાતો કૃષ્ણભક્ત (વૈષ્ણવ) દુકાનમાં તર્કપૂર્ણ વ્યવહાર કરીને નફો રળતો હોય છે. તર્ક અને શ્રધ્ધા વચ્ચે બાપેમાર્યાં વેર નથી. તર્ક અને શ્રધ્ધા વચ્ચેના સહજ સમન્વયને ‘વિવેક’ કહે છે. કેવળ તર્ક કે કેવળ શ્રધ્ધા જીવનને વિવેકહીન બનાવે છે. …..વિવેકશૂન્ય આસ્તિકતા અને નાસ્તિકતા ખતરનાક છે.”

તમને લાગશે આજે ‘કટપેસ્ટવાળી’ જ છે. પણ સાવ એવું નથી આ તો મારી અઠવાડીયાની મહેનતનો રસાસ્વાદ કરાવ્યો. મારી માન્યતામાં આસ્તિક અને નાસ્તિકને સમજવામાં ‘ઇશ્વર’ ને વચ્ચે લાવવા જેવો નથી. મેં અગાઊ શ્રધ્ધામાં ઇશ્વરની ચર્ચા કરી જ છે. ‘ઉપરવાળાની’ પણ ચર્ચા કરી જ છે. આથી આસ્તિક-નાસ્તિકમાં ઇશ્વરને ભૂલી જઈને શ્રધ્ધા પર ધ્યાન આપવું યોગ્ય છે. (એથીસ્ટ/રેશનાલીસ્ટ બ્લોગરોને ‘કોમેન્ટેટરો’ પર ‘શ્રધ્ધા’ છે જ ને !). ધર્મનું રહસ્ય ‘સ્વધર્મ’ માં સમાયેલું છે.

સત્ય – સંયમ – સ્નેહ

શ્રી ગુણવંતભાઈની બંને વાત – સત્ય અને સંયમ (વિવેકનો પર્યાય ગણીએ ?) આમાં આવી ગઈ, અને મારા તરફથી પ્રેમનો ઉમેરો. જગતની દરેક વ્યક્તિ આસ્તિક પણ છે અને નાસ્તિક પણ. જ્યાં જે બાબતમાં મને શ્રધ્ધા ત્યાં આસ્તિક, જેમાં શ્રધ્ધા નહી ત્યાં નાસ્તિક.

(લાં…બુ થઈ ગયું, પણ રજામાં વાંચજો ને ! હજી ‘વીકી મહારાજ’ની વાત તો બાકી જ રહી…)

જીવંત જીવન –

જીવંત જીવન જીવવા માટે આનાથી વધુ ઉત્કૃષ્ટ ઉદાહરણ ક્યું હોય શકે ?

અમુલ્ય છબી

 

કહેવા માટે કોઈ શબ્દ છે ? ………..

 

શ્રધ્ધા કેટલી ?

શ્રધ્ધા કેટલી ?

(શ્રધ્ધા અંગે શ્રધ્ધા-૧ શ્રધ્ધા-૨, શ્રધ્ધા-૩)

પ્રત્યેક મંદીર, મુર્તિની સન્મુખ બે હાથ જોડી નત મસ્તક ઉભેલા માનવીઓનો પાર નથી. એ દૃશ્ય જોઈને અંદરથી આપણને લાગે, ‘અહા…હા…હા ભગવાનમાં કેટલી શ્રધ્ધા છે ! સંપૂર્ણપણે જાતને ભગવાનના ચરણે ધરી દીધી છે.’ મને એ લોકોની ઇર્ષ્યા થતી અને હું કેમ આ લોકોની સરખામણીમાં કેટલો ‘અશ્રધ્ધાળુ’ છું તેનુ દુઃખ થતું અને હૃદયમાં કંઈક ખૂટે છે એવું લાગ્યા કરતું. એની મગજમારી કરતા કરતા ઉપરની ત્રણ પોસ્ટ લખાઈ ગઈ. આજે તો ‘શ્રધ્ધાળુ’ માણસોની વાસ્તવિકતા સમજાવતી વીડીયો ક્લીપ હાથ લાગી. બનાવનારના આભાર સાથે તમે પણ માણી લો. –

બાકી તમે ‘સ્વ’માંથી શ્રધ્ધા ગુમાવો તો શું થાય એ પણ નિહાળી લો –

ફક્ત ભગવાનને ‘માનવા’થી કંઈ નહી થાય, તમારે પણ કંઈક કરવું પડશે.