“તમે કોને ફોલો કરો છો ?”
સુરતના એક મિત્ર સાથે ચર્ચાઓમાં તેમના તરફથી એક સવાલ ફેંકાયો.
“કોઈને નહીં.”
“આઈ મીન, તમારા વિચારો પર કોની અસર વધારે ?”.
ફરીથી મારો જવાબ – “કોઈની નહીં”
જોયું ! વાચકને આ જવાબમાં મારા ‘અહમ’નું દર્શન થયું ! પણ ગેરસમજ ન કરતા, હું તો જે સમજ્યો છું, તે કહેવાનો પ્રયત્ન કરું છું.
પછી, મેં મારા જવાબની વધુ સ્પષ્ટતા કરી.
નાનપણમાં વાંચનનો શોખ અને કુતુહલવૃત્તિ વધારે એથી વાંચવાનું પણ થયું અને ભટકવાનું પણ થયું.
‘ભગવાન’ની પહેલી વ્યાખ્યા મને વિશિષ્ટ કેશકલાપવાળા શ્રી સત્ય સાંઈ પાસેથી મળી, કોલેજકાળની શરુઆતમાં.
જામનગરમાં આપેલા એક પ્રવચનમાં ઇશ્વર વિષે સમજાવતાં તેમણે કહેલું –
“આપણા શરીરો વીજળીના બલ્બ સમાન છે, એમાંથી ચેતનારુપી વીજપ્રવાહ વહે છે, જો શરીરમાંથી ચેતનાનો પ્રવાહ બંધ થાય તો બલ્બ બુઝાઈ જાય. વીજપ્રવાહ એક જ છે, બધા બલ્બ, આ પ્રવાહથી એકબીજા સાથે જોડાયેલા છે.”
અ વાક્ય મગજમાં નોંધાય ગયું. તેઓ તેલુગુમાં બોલતા હતા અન્ય કોઈ તેનું ટ્રાન્સલેશન કરતા હતા. સારું વાક્ય ! વધુ સાંભળવા જેવા (ફોલો કરવા જેવા..) ખરા ! લેક્ચરના અંતમા તેમણે ગુજરાતીમાં પણ સ્પીચ આપી. મારા મનમાં દલીલ ઉઠી – જો આટલું સારુ ગુજરાતી આવડે છે તો ગુજરાતીમાં સ્પીચ કેમ ન આપી. બસ ! જ્ઞાન સારું, પણ આવાને ફોલો કરાય ?
મગજમાં નોંધાયેલું વાક્ય બરાબર છે, એટલે સુધી સાચું અને આ વાક્ય પરથી મારું તારણ – ભગવાન એટલે શરીરમાં વહેતો ચેતનાનો પ્રવાહ અને પ્રવાહ એક જ છે, આથી ભગવાન પણ એક જ. આમ મારા ભગવાન – ‘ચેતના’ (વિજ્ઞાન સમજ્યા પછી વૈશ્વિક શક્તિ (Cosmic Energy).
હવે મંદીરે જઈએ તો પણ ‘ચેતના’ના પ્રતિક સ્વરુપ, જે મુર્તિ હોય તેને મસ્તક નમાવવાનું. પ્રતિક ગમે તે હોય શકે. કોઈ દલીલ નહી. મગજમાં કોઈ ખળભળાટ નહી. સાદી પ્રાર્થના – ‘સૌનું સારુ કરજે’.
એક વખત અમદાવાદમાં ‘ઓશો’ ને સાંભળવાનું થતાં એક વાક્ય મળ્યું – ‘જગતના વ્યવહારો પડઘા સમાન છે, જે તમે આપશો તે તમને પરત મળશે.’ બસ ! જીવનના વ્યવહારોની સમજણ કાયમ થઈ. તમે લોકો સાથે માથાકુટ કરો અને માથાકુટ મેળવો, પ્રેમથી રહો, પ્રેમ મેળવો. (તમારા પ્રેમના પડઘામાં પરત પ્રેમ ન આવતો હોય તો વ્યવહાર ફરી ચેક કરવો ઘટે કારણ કે તમે મોકલાવેલો ‘પ્રેમ’ ભેળસેળ ભરેલો હોય શકે. વિજ્ઞાનની ભાષામાં તમે મોકલાવેલી ‘Frequency’, ‘Noise’ વાળી હોય શકે.) ઓશોની તર્કબધ્ધ રજુઆત, શરુઆતમાં સ્વીકાર્ય થઈ જાય પણ આ જ વિચારનું ફરી મંથન કરીએ તો કદાચ અસ્વીકાર્ય પણ બની જાય.
આવું તો ઘણા બધી વિભુતિઓ સાથે થયું. વિપશ્યના વખતે શ્રી ગોએન્કાજીએ સમજાવ્યું ‘શરીર નક્કર છે જ નહીં, ફક્ત સતત બદલાતા રહેતા તરંગો જ છે.’ સ્વીકાર્ય. પણ તેમની પુનઃજન્મની વાત અસ્વીકાર્ય.
મને તો એવું લાગે છે કે ‘ઘણી વિભુતિઓ પાસેથી માટી એકત્ર કરી આપણે આપણો ‘પિંડ’ બનાવવો.’
(સાવ સાદી ભાષામાં આપણા મનનું ઘડતર આપણે જ કરવું)
નુકસાન ?……..
કોઈને ‘ફોલો’ કરવું સરળ છે. તમે એક ‘પંથ’માં સુરક્ષીત બની જાઓ, તમારો અલગ સમાજ બની જાય, તમે એમના ગુરુને ફોલો કરો છો, એ જાણે … તો, તો, તે તમને પ્રેમ કરવા માંડે, સગવડતાઓ પુરી પાડવા લાગે, તમને સરળ બની જાય, અજાણ્યા ગામમાં તમારા ‘પંથ’ના મંદીર-આશ્રમમાં જાઓ, સુખસગવડતા મળી જાય. નિતિ-નિયમો પણ સ્થાપિત હોય, આથી કોઈ કાર્ય કરવા માટે મગજને કોઈ તકલીફ નહીં.. નિયમ મુજબ કર્યે રાખો.
આપણો ‘પિંડ’ બનાવવામાં નુકસાન વધારે છે.
સૌ પ્રથમ તો ‘માટી’ની પસંદગી. કોઈ ખોટી કે ખરાબ માટી સ્વીકારાય જાય તો આપણી ‘મુરત’માં ખામી રહી જાય.
હવે આ સારી-ખરાબ માટીની ખબર કેમ પડે ?
તકલીફ તો છે પણ પેલા કુંભારની જેમ માટીને ગુંદતા રહેવું પડે, તો ચીકાશ વધતી જાય, નવા વિચારને વાગોળતા રહેવું પડે, નવા વિચારની પૃષ્ઠિ મળી શકે તેવું નવું વાંચવાનું થાય, નવી નવી વ્યક્તિઓની સાથે ચર્ચા પણ કરવી પડે, (સાદી ‘ટીપ’ – સાંભળો સૌનું, વિચારો પોતાનું.)
આ કાર્ય સમય માગી લે તેવું છે, આવું કરવામાં શક્ય છે સમયના અભાવે અન્ય કેટલુંક જતું કરવું પડે, કદાચ આરામની પળો, મનોરંજન…..
એક સહેલો રસ્તો છે ! કુદરતની નજીક જાઓ ! મહીનાનો એક રવિવાર સંપુર્ણ અંગત. ન કામ, ન કાજ, બસ નીકળી પડો. ટીવી નહીં જોવાય, મિત્રો નહી મળે, સંબંધો નહીં સચવાય, ખવાપીવામાં તકલીફ ભોગવવી પડશે,…. બધુ જ થશે. ધીમે ધીમે બધુ જ સમુસુતરુ થશે
પ્રયોગ કરી જુઓ.