સુરસાધના પર TED નો Gratefulness નો વીડીયો જોયો અને Gratefulness ને સાથે Happiness ને સાંકળવાનો પ્રયત્ન જોયો ત્યારથી મગજ આ કૃતજ્ઞતાને સમજવા મથામણ કરવા લાગ્યું. કારણ કે વીડીયોમાં થોડી ગુંચવણ લાગી. વીડીયોમાં કહ્યું છે કે આપણા માટે જે કિંમતી હોય અને તે ભેટસોગાદરુપે મળે ત્યારે આપણને આનંદ થાય છે. જરુર આનંદ થાય છે, પણ એમાં આપણી અહેસાનમંદી ક્યાં આવી ? આજે તો મફતમાં મળતી દરેક વસ્તુથી લોકોને આનંદ થાય છે. માર્કેટીગવાળા આ ‘મફત’થી મળતા આનંદનો લાભ ‘Get Free’ કહીને ઉઠાવે જ છે. આપણે બગીચામાં ફરવા ગયા હોઈએ અને રજનીગંધા, મોગરો, પારીજાત કે રાતરાણીના છોડ પા્સેથી પસાર થઈએ, મધમધતી સુગંધ આવે અને મન તરબત્તર થઈ જાય, મગજ ફ્રેશ થઈ જાય, આપણે Happiness અનુભવીએ. હવે આમાં અહેસાનમંદી ક્યાં આવી ? આપણે શું ફુલોનો આ સુગંધ માટે આભાર માનીએ છીએ ? કે તેનો કોઈ બદલો વાળીએ છીએ ? (ભગવત ગો મંડલ પર – કૃતજ્ઞતાનો શબ્દાર્થ – ઉપકારનો બદલો ઉપકારથી વાળવો, અહેસાનમંદી, વફાદારી, કરેલા ઉપકારનો ગુણ જાણવો). વીડીયોમાં આગળ જતાં કેટલીક બાબતો સારી લાગી જેવી કે – દરેક વ્યક્તિને જીવનમાં મળતી પ્રત્યેક ‘ક્ષણ’, જે તેના માટે કિંમતી છે અને ફ્રી ગીફ્ટ તરીકે મળે છે. આથી એવું તારવી શકાય કે મનુષ્ય કુદરતનો આ ‘ગીફ્ટમાં મળતી ક્ષણ’ માટે આભારી છે. એથી પણ આગળ વધીને પ્રત્યેક ક્ષણ તેની સાથે એક ‘તક’ લાવે છે. આ તક એ ‘પ્રત્યેક ક્ષણ’ની ગીફ્ટમાં સમાયેલી એક વધારાની ગીફ્ટ છે. આ તક આપણે ઝડપવાની છે. જો ઝડપી શકીએ તો સારું છે, એ તક આપણને ‘Hapiness’ તરફ લઈ જઈ શકે, ધારો કે ગુમાવી દઈએ તો બીજી ક્ષણ, બીજી તક લઈને આવે જ છે. આ માટે તો કુદરતનો આભાર માનવો જ રહ્યો. વીડીયોમાં ‘Gratefullness’ થવા માટેની ટેકનીક દર્શાવતા કહે છે કે –
Stop
Look and
Go
આ ભાગદોડવાળી જીંદગીમાં આપણને મળતી ક્ષણ અને તેમાં રહેલી ‘તક’ને જોવા માટે આપણી પાસે રોકાવાનો સમય નથી. પણ રોકાવું જરુરી છે, જો તમે રોકાઈને જે તે ક્ષણમાં રહેલી તકને જુઓ અને તેના પર કામ કરો તો ‘Happiness’ મેળવી શકો. બીજા પગથીયા પર, જે તે ક્ષણને જોવા માટે (Look) તમારી બધી જ્ઞાનેન્દ્રીયોને ખુલી મુકી દો, આથી તમારુ હૃદય ખુલી જશે, આનંદ અનુભવશે. અહીં નાનપણમાં ભણેલી એક કવિતા યાદ આવી ગઈ –
“We have no time to stand and stare “(William Henry Davies)
કૃ્તજ્ઞતાને માનસશાસ્ત્રીય રીતે સમજવા ખાખાંખોળા કરતાં તેની સમજણ થોડી વધારે સ્પષ્ટ થઈ.
‘વીકીપેડીયા’ એ કૃતજ્ઞતાની (આભારવશતા, પ્રસંશા) વ્યાખ્યા કરતાં લખ્યું છે કે – વ્યક્તિને જે લાભ મળ્યો છે કે મળવાનો છે એ બદલ તેનામાં પ્રગટતી સ્વીકૃતિની લાગણી (ભાવના) કે અભિગમ દર્શાવ્યો છે. માનસશાસ્ત્રમાં તો રુખીસુખી વ્યાખ્યા આપી છે – કૃતજ્ઞતા, એ, વ્યક્તિને મુલ્યવાન અને મહત્વની વસ્તુ પ્રાપ્ત્ત થતાં, તે આપનારની યોગ્ય કદર કરવાની એક માનસિક સ્થિતી છે. મોટાભાગના પ્રયોગાત્મક સંશોધનો દર્શાવે છે કૃતજ્ઞતા અને સમૃધ્ધિ એકબીજા સાથે સંકળાયેલા છે. કૃતજ્ઞતા એક માનવીનો ગુણ છે અને એક માનસિક સ્થિતી પણ છે. આ ગુણ માનવીમાં જાગૃત પણ કરી શકાય છે. જો તમને પ્રાપ્ત થતી વસ્તુઓ – જેના માટે તમે ખર્ચ કર્યો નથી, તમારા મા્ટે મુલ્યવાન પણ છે, તેને તમે સતત યાદ કરો અને આપનાર પ્રત્યેની અભારવશતા સ્વીકારતા રહો તો આપોઆપ તમે કૃતજ્ઞતાની સ્થિતીમાં રહેતા થઈ જાઓ અને સુખ અનુભવો. જેમકે TED વીડીયોમાં કહ્યું તેમ તમને જે ક્ષણ આપવામાં આવે તેના માટે તમે કુદરતનો સતત આભાર માનતા રહો તો કૃતજ્ઞ બની જાઓ.
પાંડુરંગ શાસ્ત્રીએ ત્રિકાળ સંધ્યાનો વિચાર આપી આ જ પ્રયોગ કર્યો છે. સવારે ઇશ્વર/પ્રકૃતિ તમને ‘સ્મૃતિદાન’ આપે છે. (આ એક વિલક્ષણ ઘટના છે. માનવી ઉઠે ત્યારે સૌ પ્રથમ તેને ‘સ્મૃતિ’ મળે છે અને પછી ‘વિચાર’ આવે છે, જ્યારે દૈનિક જીવનમાં પ્રથમ ‘વિચાર’ આવે છે પછી ‘જાગૃતિ’ આવે છે.) ત્રિકાલ સંધ્યાના સવારના શ્લોકોમાં ઇશ્વર, પૃથ્વી, માતપિતા સર્વને યાદ કરી તેમના પ્રતિ આભાર અને ક્ષમાનો ભાવ વ્યક્ત કરવાનો છે. બપોરના જમતી વખતે ઇશ્વર તમારા ખોરાકને પચાવી ‘શક્તિદાન’ કરે છે એવી ભાવના વ્યક્ત થાય છે. જ્યારે રાત્રે સુતી વખતે દિવસભરની થકાન પછી સુખભરી નિંદ્રા પ્રાપ્ત થાય એ પ્રકારે ‘શંતિદાન’ કરવા પ્રભુનો આભાર માનવાનો છે. આમ દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વાર પ્રભુ પ્રત્યે આપણે આપણી અભારવશતા-અહેશાનમંદીનો સ્વીકાર કરીએ.
મુસલમાનભાઈઓ દિવસમાં પાંચ વખત નમાજ પઢીને અલ્લા પ્રતિ આભાર વ્યક્ત કરે.
આમ આપણા મનમાં ‘આભારવશતા’ સતત રહે તો આપણે happiness અનુભવીએ.
કેવી રીતે ?
જેમ કુવામાં હોય તો અવેડામાં આવે તેમ જો તમારામાં અભારવશતા ભારોભાર ભરેલી હોય તો તમે બીજાને આભારી કરી શકો. સાદું ઉદાહરણ – બસમાં મુસાફરી કરતી વખતે, તમે અગાઊ કરેલી મુસાફરી દરમ્યાન મેળવેલી સગવડો પ્રતિ આભારી હો તો, અન્ય જરુરીયાતમંદને ઉભા થઈને સીટ આપો, સામેવાળો સીટ મેળવી ખુશ થાય અને તમે ‘joy of giving’ થી ‘hapiness’ અનુભવો.
કૃતજ્ઞતા એ ભાવનાત્મક સ્થિતી છે આથી એને બુદ્ધિથી તોળી નહી શકાય. હવે બુદ્ધિ એ માનવીને શક્તિ પુરી પાડે છે. જો સુયોગ્ય શક્તિ પ્રાપ્ત થાય તો માનવી એક હકારાત્મક જીવન તરફ પ્રગતિ કરી શકે. હવે બુદ્ધિ બદલી શકીએ તો માનવીને સુખ-સમૃધ્ધિ તરફ ગતિ કરાવી શકાય. બુદ્ધિ વિચારોથી બદલાય છે. જો મનમાં કૃતજ્ઞતાના ભાવનાત્મક વિચારો સતત ચાલતા રહે તો તેની અસર બુદ્ધિ પર ચોક્કસ થાય અને બુદ્ધિ બદલાય તો માનવીનો દ્રષ્ટિકોણ બદલાય અને દ્રષ્ટિકોણ બદલાય તો જીવન બદલાય.
આમ માનવીના મનમાં કૃતજ્ઞતાના ભાવનાત્મક વિચારો સતત ચાલતા રહે તો ‘Happiness’ મેળવવું અઘરું નથી.
આ વિચારો માટે કોઈ ખાસ કાર્ય કરવાનું નથી, ફક્ત નાની નાની વાતમાં તમે લોકોનો આભાર સ્વીકારતા રહો અને તેનો પ્રતિભાવ આપતા રહો. એક ઉદાહરણ આપું તો મારી લંડનની મુલાકાત દરમ્યાન જમાઈ સાથે કારમાં સફર કરતા થયેલ અનુભવ – મેઇન રોડ પર જતાં હોઈએ અને ગલીમાંથી આવતું વાહન જો ઉભા રહીને પહેલા જવા માટે માર્ગ આપે ત્યારે મારા જમાઈ પાછળની બેકલાઈટ ફ્લેશ કરતા. એવી રીતે કોઈ બાજુમાં ખસી જઈને આગળ જવા માર્ગ આપે ત્યારે પણ ફ્લેશ કરતા. મારા કુતુહલના જવાબમાં મને સમજાવવામાં આવેલું કે એ તો મેં જ્ગ્યા આપવા માટે આભાર માનેલો. આવી નાની વાતમાં જો આપણે ઋણ સ્વીકાર કરતા રહીએ તો જરુરથી આપણે કૃતજ્ઞ બનીએ અને જીવનમાં આનંદ મેળવીએ.
‘joy of giving’ થી ‘hapiness’ અનુભવો.
LikeLike
Thanks for commenting and to pick the perfect line.
LikeLike