ડરનો વેપાર –

‘પેશન્ટના સગાને ડોક્ટર બોલાવે છે’

પેશન્ટને બેસાડી, સગાઓ ડોક્ટરને મળવા ઉપડ્યા. થોડીવારે પરત આવ્યા. ‘ડોક્ટરે હજુ વધારે  ટેસ્ટ લખી આપ્યા છે. ચાલો કરાવી લઈએ. પેટની સોનોગ્રાફી કરાવવી પડશે, પછી પાછા આવીયે.’

હોસ્પીટલમાં ખાંખાખોળા કરી સોનોગ્રાફી યુનીટ શોધ્યું, ડોકટરની ચીઠ્ઠી આપી. થોડીવાર બેસવાનો આદેશ મળ્યો. ત્યારબાદ ડોક્ટરે ટેબલ પર સુવાડી પેટ પર ક્રિમના લોંદા લગાડી કરી, સોનોગ્રાફીના પ્રોબ હાથમાં લીધા. ‘તમને શું થાય છે ?’ દરદી – ‘કંઈ નહીં’. મશીન શરુ થયું, મોનીટર પર સમજ ન પડે તેવા ચિત્રો દેખાવા માંડ્યા. ત્યાં ડોક્ટરની મોબાઈલ રીંગ વાગી, તેમણે એક હાથે પ્રોબ અને એક હાથમાં મોબાઈલ રાખી બંને કામ સાથે ચાલુ રાખ્યા. ‘ઓકે ! તમે જાઓ, રીપોર્ટ હું તમારા ડોક્ટરને મોકલાવી આપું છું.’ ફરી રાહ જોવાનું શરુ થયું. કલાક પછી ફરી સાદ પડ્યો – ‘દરદીના સગાને ડોક્ટર બોલાવે છે’. સગા હાંફળાફાંફળા ઉભા થયા, પણ આ વખતે દરદી પણ ઉભો થયો – ‘ચાલો હું પણ આવું છું, મારે પુછવું છે.’

‘બોલો સાહેબ ! હું ભણેલ-ગણેલ છું. શરીર સારું છે, હરવાફરવામાં, કામકાજમાં કોઈ પ્રશ્ન નથી, મોર્નીંગવોક, ઇવનીંગવોક રેગ્યુઅલર થાય છે, ક્યાંય દુખાવો થતો નથી પણ લોહીમાં WBC ની સંખ્યા કાંઇક વધારે છે એવું રીપોર્ટમાં લખ્યું હતું. બોલો ! મને શું થયું છે ?’

‘સારું, કાકા ! આ તમારા દીકરી-જમાઈને તો સવારે મેં મારી શંકા વ્યક્ત કરી હતી અને શંકા દુર કરવા મેં સોનોગ્રાફીની એડવાઈસ આપી. સોનોગ્રાફીનો રીપોર્ટ પણ આવી ગયો છે અને મારી શંકા સાચી નીકળી, તમને લો પ્રોફાઈલ લ્યુકેમીયા છે, અમારી ભાષામાં તેને CLL કહીએ છીએ. સામાન્ય ભાષામાં બ્લડ કેન્સર કહેવાય. તમને શરીરમાં બેત્રણ ઝીણી ગાંઠો છે અને પેટમાં પણ છુટીછવાઈ ૨-૩ mm સાઈઝની બે ત્રણ ગાંઠો છે. હવે મારી સલાહ એ છે કે આપણે બોનમેરોનું ટેસ્ટીંગ કરી લઈએ. આથી સ્યોર થઈ જઈએ.’ (ડોક્ટરે પોતે ધારી લીધેલા રોગ માટે…. જ ને !)

દરદીના જ્ઞાન મુજબ તો ‘કેન્સર’ એટલે ‘કેન્સલ’નો ખ્યાલ હતો. આથી થોડીવાર મગજ સુન્ન થઈ ગયું. (એ દરમ્યાન અનકોન્સીયસ માઈન્ડે ‘કેન્સલ’ રેકોર્ડ કરી લીધું.) થોડી કળ વળતા ડોક્ટર  સાથે ફરી સંવાદ સંધાયો – ‘પણ મને કોઈ જાતની તકલીફ નથી. સવારે ચાલુ છું પણ તેનો કોઈ થાક લાગતો નથી. પાચનતંત્ર થોડું ખરાબ છે આથી એસીડીટીના પ્રશ્નો છે પણ તે હું મારી રીતે હેન્ડલ કરી લઊં છું, એલોપથીમાં વિશ્વાસ ઓછો છે આથી હજી સુધીની જીંદગીમાં પરદેશી દવાઓ પેટમાં ગઈ નથી.’

‘તમારી વાત બધી જ સાચી. પણ આ પ્રકારનું કેન્સર ડેવલોપ થતાં બહુ સમય લે છે અમુક કિસ્સામાં આઠથી દસ વર્ષ અને કેટલાક કિસ્સામાં બારથી પંદર વર્ષ. અને આમ પણ આપણે કોઈ દવા લેવાની નથી બેત્રણ મહીને લોહીનો ટેસ્ટ કરાવી લેવાનો છે જો  WBC માં મોટો જમ્પ આવે કે હિમોગ્લોબીન ઘટી જાય કે વજનમાં અચાનક કોઈ ફેરફાર નોંધાય તો જ ટ્રીટમેન્ટ કરવાની છે. હમણા તો વેઈટ અને વોચની પરિસ્થિતિ છે. પણ બેઝીક બધા ટેસ્ટીંગ કરાવી લઈએ તો એ વખતે સીધી ટ્રીટમેન્ટ ચાલુ કરી શકાય. આથી બોનમેરો ચેક કરી લઈએ.’

ડોક્ટરની સેવાભાવી ઉપકારક મુખમુદ્રા (?)  (અને કંઈક તો અન્કોન્સીયસ માઈન્ડની ‘કેન્સલ’ એલર્ટ) કામ કરી ગઈ. બોનમેરો ટેસ્ટીંગ થયું. CLL કન્ફર્મ. ખાલી (?) પંદરેક હજારનું બીલ ચુકવાયુ. ‘આ લોહી પાતળું રાખવા એક ગોળી લખું છું એ તમારી કીડનીને લોહીના ફીલ્ટરેશન વખતે બચાવશે. ત્રણ મહીના પછી ફરી ચેક કરાવી જશો.’

બધા ભારેખમ બની ઘેર પરત. સાંજે ફરી જમાઈ પર ડોક્ટરનો ફોન આવ્યો. ‘આપણે જીન્સની ડિફેક્ટ ચેક કરાવી લઈએ, તમે હોસ્પીટલે આવી જાઓને ! હું સેમ્પલ આપું તે લેબમાં આપી આવજો’ બીજા પંદર હજારનું બીલ, રીપોર્ટ ચારપાંચ દિવસ પછી – ‘તમને છેલ્લા બે વર્ષમાં જીનેટીકલ ખામી એક્વાયર્ડ થઈ છે, આથી તમારા WBC નું ઉત્પાદન જોઈએ તે કરતા વધારે થાય છે.’ (આ ખામી કેવી રીતે, ક્યાંથી આવી તેની વાત નહીં, તેની કોઈ જાણ નહી, ટેસ્ટીંગમાં સેમ્પલીંગ એરર, હ્યુમન એરર, ઇન્સ્ટ્રુમેન્ટ એરર, અરે…. સેમ્પલીંગ વખતે દરદીની માનસિક સ્થિતિના કારણે થયેલા શારિરીક ફેરફારની એરર વગેરેની કોઈ ગણત્રી જ નહીં,  ફક્ત ધારણાઓ…. જ..ધારણા ..)

આમ બેત્રણ દિવસ અને ત્રીસ હજારનો ખર્ચ, ‘કેન્સર’ની લટકતી તલવાર સાથે ફરી જીવન શરુ થયું. (આટલા પૈસામાં એટલીસ્ટ બે કુટુંબોનું મહીનાભરનું જીવન સરસ રીતે પસાર થાય !)

overcoming-fear3

કેવો સરસ પ્રોફીટેબલ વ્યવસાય થયો, જેમાં કોઈ વસ્તુની કોઈ ખરીદી નહી, માર્કેટીંગ માટે બનાવવા પડતા જીંગલ્સ કે પ્રેઝન્ટેશનની માથાકુટ નહી ફક્ત દરદીને સામે બેસાડી તેનામાં ‘આંતરીક ભય’ને વધારવો અને તેનો વેપાર કરવામાં ઉપયોગ કરવો.

અહીં આપણે ડોક્ટર્સના ‘ethics’ પર ચર્ચા નથી કરવી, તેઓ શું કરે છે કે કરવું જોઈએ એ વાત પણ નથી, નિતિમત્તાની પણ વાત નથી, પણ મનમાં રહેલા ‘ભયની તાકાત’ કેટલી છે તેની સમજણ કેળવવી છે. વર્ષો પહેલા શ્રી સુરેશ સોમપુરાનું એક પુસ્તક ‘અભય’ વાંચ્યું હતુ. આ નવલકથાના પાત્રને એક અઘોરીને નારાજ કરવા બદલ ‘તારા કુટુંબનો નાશ થશે’ એવો શ્રાપ મળે છે, અને પછી ખરેખર કુટુંબના સાજાસારા સભ્યો મરવા માંડે છે. મિત્રો દ્વારા લેખકને આની જાણ થાય છે અને તે મિત્રના કુટુંબને ઉગારવા તેના ઘરમાં રહી નાયકની વર્તણુકનો અભ્યાસ કરે છે. અંતમાં વાર્તા નાયક પોતાની નાની પુત્રીને ઓશીકાથી શ્વાસ રુંધી મારવાનો પ્રયત્ન કરતો પકડાય છે. લેખક, નાયકને વિસ્તૃત રીતે અઘોરીના શબ્દો દ્વારા મનમાં ઉત્પન્ન થયેલા આંતરીક ભયને સમજાવે છે અને દુર કરે છે. સ્વાસ્થ્યનો વેપાર કરનારા પણ ‘અઘોરી’ની માફક દરદીના મનમાં એક ભય ઉત્પન્ન કરે છે અને દરદી સંપુર્ણપણે આવા વેપારીઓને સબમીટ થઈ જાય છે.

આવું જ એક બીજું ક્ષેત્ર છે ‘ધર્મ’.

ધર્મ મનુષ્યને સુંદર જીવન જીવવાની માર્ગદર્શિકા બનવો જોઈએ, પણ ધર્મ પ્રચારકો એના બદલે આસ્તિકોના મનમાં ‘ભય’ ઉત્પન્ન કરી વેપાર કરે છે. (‘નાસ્તિકો’ એ ખુશ થવાની જરુર નથી, પોતાનું ‘નસ્તિકતા’ નું લેબલ ઝુંટવાય ન જાય એ ‘ભય’થી જ ધર્મનો વિરોધ કરે છે.) ‘શનિ, ગુરુની મહાદશા ચાલે છે આટલા મંત્રજાપ કરાવવા પડશે, સારું થઈ જશે’  ! બસ ! મહારાજનો ‘વેપાર’ થઈ ગયો. (ગ્રહોની અસરનો વિષય એક વૈજ્ઞાનિક અભિગમ પણ છે, ફરી ક્યારેક…)

ટુંકમાં એટલું જ કે ‘વેપાર’ કરવાના કેટલાય ક્ષેત્રોમાં ‘માનવીના મનમાં આંતરીક ભય ઉભો કરવાનું ક્ષેત્ર’ વધારે સરળ છે. સ્વાસ્થ્ય અને ધર્મ એમાં મુખ્ય છે.

આંતરીક ભયને વધારે જાણવા માટે પ્રથમ માનવ શરીરને જાણવું પડે… હવે પછી… ‘શરીર .. એક સાધન’

(Photograph ref. – http://www.coolage.in/2012/10/10/how-do-i-get-rid-of-fear-part-1/. with thanks. view this page, really interesting ..)

9 comments on “ડરનો વેપાર –

  1. Atul Jani (Agantuk) કહે છે:

    પ્રાણી માત્રને પ્રબળતાથી અસર કરનારી ત્રણ મુખ્ય લાગણીઓ છે.

    ૧. ભય
    ૨. લાલચ
    ૩. પ્રેમ

    જીવોનું અવલોકન કરતા જણાશે કે આ ત્રણ લાગણીઓ અને તેની પેટા લાગણીઓને આધારે જ મુખ્યત્વે જીવોનું ઘડતર થતું હોય છે.

    આ ત્રણે લાગણીઓને મનોવૈજ્ઞાનિક રીતે અનુકુળતાએ સમજાવવાનો પ્રયાસ કરશો. હું સમજવા આવીશ.

    Like

  2. સુરેશ જાની કહે છે:

    ‘નાસ્તિકો’ એ ખુશ થવાની જરુર નથી, પોતાનું ‘નસ્તિકતા’ નું લેબલ ઝુંટવાય ન જાય એ ‘ભય’થી જ ધર્મનો વિરોધ કરે છે.
    Good one !
    ————
    ભય એ જરૂરી ઇન્સ્ટિન્ક્ટ છે ( ગુજરાતી શબ્દ? ) પણ એ યોગ્ય માત્રામાં જ.
    અને આમ જુઓ તો કોઈ પણ ચીજ યોગ્ય માત્રામાં જ સારી અને ગુણકારી.
    તમને લાડવા ભાવે છે કે નહીં – એ તો ખબર નથી; પણ મારા જેવા, જેને ભાવતા હોય તેને પણ – એકાદ બે જ ઠીક!!
    ———
    સબકા એક રામબાણ જવાબ….

    વિવેક.

    Like

  3. Vinod R. Patel કહે છે:

    ભય એ એક જાતનું ભૂત , એને ભાગાડવું જ રહ્યું , સમજણથી .

    Like

  4. Sharad Shah કહે છે:

    આહાર, નિંદ્રા,ભય અને મૈથુન પ્રાણી માત્રમાં સામાન્ય છે તે આપણે બધા જાણીએ જ છીએ. હું માર્કેટિંગ અને મેનેજમેન્ટ ભણતો ત્યારે અમારા પ્રોફેસર કહેતાં,” માનવીને મોટીવેટ કરનાર બે મુખ્ય પરિબળો છે. એક ભય અને બીજું લોભ.”
    અનુભવે મને પણ જણાયું છે કે (કહેવાતો)ધર્મ હોય કે ધંધો આ જ બે પરિબળૉનો ઉપયોગ સફળ થાય છે.અહી ચિકિત્સાનો જ ઉલ્લેખ થયો છે પણ માનવ મુલ્યોનુ એટલું બધું અધઃપતન થયું છે કે ચિકિત્સા કે શિક્ષણ જે અહી ભારતમાં અન્ય ધંધાની તુલનામાં અતિ ઉચ્ચ વ્યવસાય ગણાતા તેનુ સ્તર આજે ગંદો ધંધો ગણી શકાય તે હદે નીચે ઉતરી ગયું છે.અરે! ધર્મ જ જ્યારે ધંધો બની ગયો હોય તો બીજાને શું કહેવું?
    આપણે હવે ગંદા ધંધાની વ્યાખ્યાઓ બદલવી પડશે. વૈશ્યાગીરી, ભડવાગીરી, ચોરી, લુંટ, ખિસ્સા કાર્તરવાનો ધંધો આ અને આવા ધંધાઓ જે નિમ્ન કહેવાતા તેને બદલે દાક્તરી, શિક્ષક,ધર્મગુરુ, પંડિત પુરોહિતો કે રાજકારણીઓનો ધંધો નિમ્ન ગણાતો થઈ જશે. આપણો ભાઈ, બહેન કે પુત્ર પુત્રી કોઈ ડોક્તર કે શિક્ષક હશે તો આપણને કહેતાં શરમ આવશે તે દિવસો હવે દુર નથી.

    Like

  5. pragnaju કહે છે:

    યાદ

    લાગે છે ડર મને હવે આ હવાથી;
    વાતનું કરે વતેસર એક અફવાથી.

    દુઆ કરો દોસ્તો, મારા માટે તમે;
    કંઈ ફેર નથી પડવાનો હવે દવાથી.

    હાથ લંબાવીને શું કરવું હવે મારે?
    પ્રભુ કંઈ નથી આપતો માંગવાથી,

    ન ખબર હતી કે હું મારો ન રહીશ;
    કોઈના માટે હું ખાસ થઈ જવાથી.

    પ્યાસ રણની લઈને ફરતો રહ્યો હું;
    જળ ઉછીનું લીધું છે મેં ઝાંઝવાથી.

    ચાલતા ન શિખી શક્યો બરાબર હું;
    ડરતો રહ્યો પડવાથી, આખડવાથી.

    ધાકોર દિવાલ તરબોળ થઈ ગઈ;
    થોડા વાદળાઓ ભીંતે ચીતરવાથી.

    પુર નથી આવતા આંસુંઓની નદીમાં;
    વારે વારે કોઈને યાદ કરીને રડવાથી.

    વેદના થોડીક ઓછી થાય છે નટવર;
    આ કલમને આંસુંમાં ડુબાડી લખવાથી.
    તો કૅટલાક
    “ડર ડર કે નહીં જીના,
    હાર સે ના ગભરાના

    જીત હૈ ડર કે આગે,
    ભૂલો સે ડર મત જાના”
    “જીના હૈ તુજકો તુજકો
    લડના હૈ તુજકો તુજકો

    સંતાન હૈ તુ કુદરત કા
    જીતના હૈ ડર તુજકો તુજકો”
    તો વળી ઘણા શ્રધ્ધા પૂર્વક જાપ કરે
    ॐ સુકવલ્ય સુકવલ્ય વૃજાંશુ વૃજાંશુ મુક્તિ નમઃ ||

    Like

  6. […] ‘ડરનો વેપાર’ પોસ્ટના પ્રતિભાવોમાં સુંદર પ્રતિભાવો મળ્યા અને વિચારોને નવી દિશામાં પ્રેરણા પણ મળી. ખાસ કરીને જીવોના ઘડતરમાં ભાગ ભજવતી વૃતિઓને વિચારવા મજબુર પણ કર્યો. […]

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?